રાજકોટ
News of Wednesday, 5th May 2021

ભગવતીભાઈની વિદાયના પગલે તેમના ત્રણે પુત્રોએ સૂરસંસારની જવાબદારી કમિટીના સભ્યોને સોંપી દીધી

રાજકોટઃ સૂર-સંસારના સ્થાપક અને કર્તાહર્તા શ્રી ભગવતીભાઈ મોદીનું ૩૦ એપ્રિલના રોજ અવસાન થતા રાજકોટના સંગીતચાહકો અને દેશના ઘણા કલાકારોને ક્યારેય ન પુરી શકાય એવી ખોટ પડી છે. ૧૯૯૪ થી ચાલી આવતી મોભાદાર સૂર-સંસાર સંસ્થા વર્ષના છથી સાત જુના ફિલ્મી ગીતોના કાર્યક્રમોનું આયોજન કરતી. સૂર-સંસાર એ રીતે અનોખી સંસ્થા હતી કે તેમાં સભ્યો નહીં પણ ''સહભાગી'' હતા. 'નો પ્રોફિટ નો લોસ'ના સિદ્ધાંત ઉપર ચાલતી સૂર-સંસારના દરેક સભ્યોને સહભાગી એટલે કહી શકાય કે ભગવતીભાઈ સહિત દરેક વ્યકિત સોલ્જરી મુજબ એમાં ફી ભરતા. વર્ષના અંતે સૂર-સંસાર પાસે રૂપિયા બચ્યા હોય તો બોનસ પ્રોગ્રામ પણ આપવામાં આવતો. અત્યાર સુધી સૂર-સંસારમાં પાર્થિવ ગોહિલ, પૂર્ણિમા, સંગીતકાર રવિ, રવિન્દ્ર જૈન, નિમ્મી, વિશ્વજીત, જેવા ઘણા દેશ વિખ્યાત કલાકારો આવી ચુક્યા છે.

સૂર-સંસારને રાજકોટ ખાતે જ્વલંત સફળતા મળી અને આખા ગુજરાતમાં તેનું નામ થયું. ભગવતીભાઈએ ચાલુ કરેલી સૂર-સંસારની આ સફળયાત્રામાં અમુક વ્યકિતઓનો નોંધપાત્ર ફાળો રહ્યો. શરૂઆતના તબક્કામાં આર્થિક સહયોગથી લઈને બીજી અનેક બાબતોમાં અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, પ્રાગજીભાઈ કામાણીનો નિસ્વાર્થ ટેકો મળ્યો. નૂતનભાઈ ભટ્ટ અને બીજા ઘણા મિત્રોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.  તે સિવાયના ઘણા નામી-અનામી લોકોએ સૂર-સંસારના વિકાસ માટે ભગવતીભાઈ સાથે ખભેખભો મિલાવ્યો. સૂર-સંસાર અને ભગવતીભાઈ વતી તે દરેક સહયોગી અને સૂર-સંસારના સુજ્ઞ શ્રોતાઓનો આભાર માનવો જરૂરી છે. તેમના વિના સૂર-સંસારની આ સફર શક્ય બની ન હોત.

ખાસ વાત એ કે ભગવતીભાઈના દેહાંત પછી સૂર-સંસારનો આર્થિક વહીવટ અને સંસ્થાની તમામ જવાબદારી ભગવતીભાઈના ત્રણ પુત્રો- ફાલ્ગુન ભગવતીદાસ મોદી, કુણાલ ભગવતીદાસ મોદી અને વત્સલ ભગવતીદાસ મોદી સૂર-સંસારની કમિટીને સુપરત કરે છે. સૂર-સંસારના પ્રવર્તમાન સહભાગીઓને  જણાવવાનું કે અત્યારે સૂર-સંસારના જુદી જુદી બેંકના ખાતાઓમાં જમા રહેલી ટોટલ રકમ અંદાજીત દોઢ લાખ રૂપિયા જેટલી છે. જેનો વહીવટ હવેથી સૂર-સંસારની કમિટીના સભ્યો મનીષભાઈ શાહ, નુતનભાઈ ભટ્ટ, મુકેશભાઈ છાયા અને પંકજભાઈ ઘેલાણી સંભાળશે. સૂર-સંસારને જુના ફિલ્મી ગીતોનું મનોરંજન પીરસતી એક સેવાભાવી સંસ્થા તરીકે સ્વ. ભગવતીભાઈ મોદીએ લાગલગાટ અઢી દાયકા સુધી નિસ્વાર્થભાવે ચલાવી હતી અને તેનો સંતોષ સૂર-સંસારના શ્રોતાગણોમાં જોવા મળ્યો હોવાનું શ્રી અભિમન્યુ મોદી (મો.૯૪૨૯૦ ૩૩૦૬૮)એ આજે તા.૫ મે ૨૦૨૧ના બુધવારે જણાવ્યું છે.

(3:07 pm IST)