મહાશિવરાત્રીએ મેયર - ડે.મેયર અને સ્ટેન્ડીંગ સભ્યો (ચેરમેન)ની વરણી : ૧૧મી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં જનરલ બોર્ડ બોલાવતા ઉદીત અગ્રવાલ : કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવાશે
રાજકોટ : મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓની મૂદત તા. ૧૪-૧૨-૨૦૨૦ ના રોજ પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા તા.૨૧-૨-૨૦૨૧ના રોજ મ્યુનિ. કોર્પોરેટરશ્રીઓની ચૂંટણી હાથ ધરવામાં આવેલ હતી. તા. ૨૩-૨-૨૦૨૧ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોના નામ ધી ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી બાદ ચુંટાયેલા કોર્પોરેટરશ્રીઓની પ્રથમ બેઠક મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા બોલાવવાની હોય છે.
રાજકોટ શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ રાજકોટ શહેરના કુલ ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરશ્રીઓની પ્રથમ બેઠક તા.૧૧ના શિવરાત્રીના ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રીની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના બાર સદસ્યશ્રીઓની નિમણૂંક કરવા બોલાવેલ છે. જેની નોટિસ દરેક કોર્પોરેટરશ્રીઓને મોકલી આપવા મ્યુનિસિપલ સેક્રેટરીને સૂચના આપવામાં આવેલ છે. નોંધનીય છે કે જાહેર રજાના દિવસે આ બોર્ડ બેઠક યોજાશે.