રાજકોટ મનપાના પદાધિકારીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વચ્ચે સાંજે મહત્વની બેઠક
શહેરના ઓવરબ્રિજ સહિતના કામોને આગળ વધારવા તેમજ મ.ન.પા.ને નાણાકિય સહાય સહિતની બાબતોની ચર્ચાઓ થશે : મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ અને શહર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા મ્યુ. કમિશનર અમિત અરોરા ગાંધીનગરમાં
રાજકોટ તા. ૪ : શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ભવ્ય રોડ-શો યોજાયા બાદ આજે મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મ.ન.પા.ના મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા છે અને ત્યાં સી.એમ. હાઉસ ખાતે રાજકોટના વિકાસકામોની સમીક્ષા બાબતે બેઠક યોજાનાર છે.
આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટ મ.ન.પા.ના મેયર સહિતના પદાધિકારીઓને મળવા માટે સમય ફાળવ્યો છે.
આથી આજે સાંજે મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ મ્યુ. કમિશનર અમિત અરોરા સી.એમ. હાઉસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ મળનાર છે.
આ બેઠકમાં શહેરના ઓવરબ્રીજના કામો ઉપરાંત અન્ય વિકાસકામો બાબતે તેમજ નાણાકીય (ગ્રાન્ટ) સહાય વગેરેની ચર્ચા વિચારણા થવાની શક્યતા છે.(૨૧.૩૮)