સોમવારથી ફરી કેન્સર હોસ્પિટલને કોવિડ-૧૯માં ફેરવાશે : શુક્રવાર સુધી દવા - ડોકટરો - સ્ટાફ મુકાશે
કેસો વધ્યા હોય અને સિવિલનું ભારણ ઘટાડવા કલેકટરનો મહત્વનો નિર્ણય
રાજકોટ તા. ૩ : આગામી સોમવારથી કેન્સર હોસ્પિટલ કે જ્યાં ૧૯૨ બેડની ઓકસીજન સાથેની કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરાઇ હતી અને જે તે સમયે કેસો ઘટતા તે બંધ કરાયેલ, તે કેન્સર હોસ્પિટલ ૧ મહિના બાદ સોમવારથી ફરી કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે શરૂ કરી દેવાશે તેમ કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે જણાવેલ કે, હાલ સ્થિતિ ગંભીર નથી, રાજકોટ શહેર - જિલ્લામાં કેસો કાબુમાં છે, પણ તાજેતરમાં કેસો વધતા અને સિવિલ હોસ્પિટલનું ભારણ ઘટાડવા ફરી કેન્સર હોસ્પિટલ કોવીડ-૧૯માં ફેરવાશે, શુક્રવાર સુધીમાં દવા - ડોકટરો - સ્ટાફ મૂકી દેવાશે અને સોમવારથી ૧૯૨ બેડવાળી હોસ્પિટલ શરૂ થઇ જશે.
સમરસ હોસ્ટેલ અંગે તેમણે ઉમેર્યું હતું કે, તે પુનઃ ચાલુ કરવા અંગે હાલ કોઇ વિચારણા નથી, આમ છતાં તે પણ સ્ટેન્ડ ટુ ચાલુ રખાઇ છે.