ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને પાંચ લાખનું વળતર ચુકવવા આદેશ
રાજકોટ તા. ૪: ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા અને ચેકની રકમનું વળતર ફરીયાદીને આપવાનો એડી. ચીફ. જયુ. મેજી. મહત્વનો હુકમ ફરમાવેલ હતો.
આ કેસની ટુકમાં વિગત એવી છે કે, માણાવદરના રહેવાસી યોગેશભાઇ ધીરજલાલ વ્યાસ એ પોતાના કૌટુંબીક કાકાના દિકરા અંકિતભાઇ મનસુખભાઇ વ્યાસ (પિતરાઇ ભાઇ) ને સબંધના દાવે ૩ માસ પુરતા હાથ ઉછીની રકમ રૂ. પ,૦૦,૦૦૦-૦૦ પાંચ લાખ પુરા વગર વ્યાજે સબંધના દાવે ઉછીના આપેલ હતા. જે રકમની ઉઘરાણી કરતા આરોપી અંકિત મનસુખભાઇ વ્યાસ એ રૂ. પ/- લાખ પુરાનો બેંક ઓફ બરોડા ટાગોર માર્ગ રાજકોટ શાખાનો ચેક આપેલ હતો. અને જણાવેલ હતું કે, ચેક બેંકમાં તમારા ખાતામાં વટાવવા નાખશો તો વટાવાઇ જશે અને તમારી લેણી રકમ મળી જશે તેવો વિશ્વાસ આપેલ હતો તેથી ફરીયાદી યોગેશભાઇ વ્યાસ એ ચેક સ્વીકારીને પોતાના ખાતામાં વટાવવા નાખતા જે ચેક રીટર્ન થયેલ હતો. તેથી આરોપીને લીગલ નોટીસ પાઠવેલ હતી.
આ કામે આરોપી અંકિત મનસુખભાઇ વ્યાસને રાજકોટ એડી. ચીફ. જયુ. મેજી.એ આરોપીને (૧) વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે તથા ચેકની રકમ પ,૦૦,૦૦૦-૦૦ પાંચ લાખ પુરા ૧ માસમાં ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાના હુકમ ફરમાવેલ છે જો ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી સંજય એચ. પંડયા તેમજ મનિષ એચ. પંડયા તેમજ નિલેષ ગણાત્રા, રવિ ધ્રુવ, ઇરશાદ શેરસીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, તથા વિજયસિંહ જાડેજા, જયદેવસિંહ ચૌહાણ રોકાયેલ હતા.