રાજકોટ
News of Friday, 4th October 2019

ખોડલધામ નોર્થ ઝોનમાં આઠમના રવિવારે મહાઆરતી : ખેલૈયાઓ સાફા પહેરીને રમશે રાસ

નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે : મેદાનમાં આતશબાજી કરાશે

રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા  શહેરના ચાર ઝોનમાં આયોજીત નવરાત્રિ મહોત્સવમાં દરરોજ હજારો ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે નોર્થ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમા નોરતે રવિવારે સાંજે ૭ વાગ્યે  શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં માતાજીની મહાઆરતી કરવામાં આવશે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા નાના મવા સર્કલ પર પેટ્રોલપંપની બાજુના મેદાનમાં દરરોજ ૬થી ૭ હજાર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે નવરાત્રિના આઠમા નોરતે તા. ૬ ઓકટોબરના રોજ સાંજે ૭ કલાકે નોર્થ ઝોન ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં  નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો આ મહાઆરતીમાં જોડાઈને માતાજીની આરાધના કરશે. ગરબા ગ્રાઉન્ડ પર સાંજે ૭ કલાકે માતાજીની મહાઆરતી કરવામાં આવશે. સાથે જ માતાજીની પધરામણી કરવામાં આવશે. મહાઆરતી બાદ તમામ ખેલૈયાઓ સાફા પહેરીને રાસ-ગરબે રમશે અને બાદમાં ગ્રાઉન્ડ પર આતશબાજી કરવામાં આવશે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા દરરોજ એ.પી પટેલ કન્યા છાત્રાલય, જી.ટી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, કંડોરણા છાત્રાલયની, અને ટોપલેન્ડ સ્કૂલની મળીને કુલ ૫ હજારથી વધુ બાળાઓને ગ્રાઉન્ડ પર રાસ-ગરબે રમાડવામાં આવે છે. આયોજકો દ્વારા તમામ બાળાઓ માટે ચેવડો-પેંડાનો નાસ્તો અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

અકિલા કાર્યાલય ખાતે 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપવા આવેલા ખોડલધામના ટ્રસ્ટી શ્રી ચિમનભાઈ હપાણી, ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવના પ્રમુખ શ્રી કિશોરભાઈ પાંભર, ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ પરસાણા, શ્રી નિલદીપભાઈ તળાવીયા તેમજ મીડીયા કમીટીમાંથી શ્રી પંકજભાઈ મુંગરા અને શ્રી ચિંતનભાઈ પેઢડીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:33 pm IST)