ચા-પાનની દુકાને ટોળા અટકાવવા તંત્ર ત્રાટકયું: રપ દુકાનદારોને રપ હજારનો દંડ
રાજકોટ : હાલની કોરોના વાયરસની સ્થિતિમાં નાગરિકો જાણ્યે અજાણ્યે સંક્રમણના વાહક ન બને અને ખુદ પણ સંક્રમિત થતા બચે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરભરમાં ચા-પાનની તમામ દુકાનોએ ગ્રાહકોની ભીડ એકત્ર ના થાય તે સુનિશ્યિત કરવા તમામ દુકાનોનુ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દુકાનદારોને આ બાબતે ખાસ કાળજી અને સતર્કતા દાખવવા ચેતવણી પણ આપવામાં આવી હતી. સાથોસાથ આજે ૨૫ દુકાનદારોને ત્યાંથી એસ્ટેટ બ્રાંચ દ્વારા ૨૫૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સરકારની માર્ગદર્શિકા અનુસાર કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવાનો અસરકારક ઈલાજ સોશિયલ ડિસ્ટન્સ આવશ્યક રીતે જાળવવામાં આવે તે જ છે. કમિશનરશ્રીના આ આદેશ અનુસંધાને આજે શનિવારે તા.૪ રોજ સવારથી જ તમામ વોર્ડમાં વોર્ડ ઓફિસર, એસ્ટેટ શાખાના ઇન્સ્પેકટર અને અન્ય સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ ઝુંબેશના આજે પ્રથમ દિવસે મનપાની ટીમો દ્વારા ચા-પાનના વેપારીઓને ગ્રાહકોના ટોળા એકત્ર થતા અટકાવા કડક તાકિદ કરવામાં આવી હતી. જો કોઈ દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નહી હોવાનું ધ્યાને આવશે તો મનપા દ્વારા એ દુકાન તત્કાલ બંધ કરાવી દેવામાં આવશે. એવી નોટીસ ફટકારવામાં આવી છે તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છ.