કણકોટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી તાલુકા પોલીસઃ સગીર સહિત ૩ સકંજામાં: ૧૧.૭૧ લાખની મત્તા કબ્જે
ભગવતીપરાના પ્રવિણ ઉર્ફ પવો અને સગીર પકડાયાઃ પવો અગાઉ ૩૦૭માં પકડાયો હતોઃ મકાનમાં મોટી મત્તા હોવાની ટીપ ઘરધણી મગનભાઇના જુના ડ્રાઇવર કૃણાલે આપી હતીઃ તેને પણ સકંજામાં લેવાયોઃ આર્થિક ભીંસ દૂર કરવા ચોરી કરી'તી : પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. મોહસીનખાન મલેક અને કોન્સ. અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ રાણાની બાતમીઃ પીઆઇ જે. વી. ધોળા અને ટીમને સફળતા
રાજકોટ તા. ૪: કણકોટ ગામમાં આવેલા ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતાં અને ટ્રાવેલીંગનું કામ કરતાં મગનભાઇ ચતુરભાઇ જાદવના ઘરમાંથી રૂ. ૨૫ લાખની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાંખી એક સગીર અને એક યુવાનને સકંજામાં લઇ રૂ. ૧૧,૭૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મકાનમાં માલમત્તા પડી હોવાની ટીપ મગનભાઇને ત્યાં અગાઉ ડ્રાઇવર તરીકે કામ કરતાં શખ્સે આપી હોવાનું ખુલતાં તેને પણ સકંજામાં લઇ લેવાયો છે.
ચોરીનો આ બનાવ ૧/૫ના રોજ બન્યો હતો. આ મામલે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે કાળા રંગના એકટીવા જીજે૦૩કેએન-૩૦૫૪ પર બે જણા નીકળ્યા છે અને તેની પાસે સોના ચાંદીના દાગીના છે. એકટીવા પર પીળા કલરમાં અંગ્રેજીમાં કાલી લખેલુ છે. આ એકટીવા ૧૫૦ રીંગ રોડ પર ઠાકર હોટેલ તરફથી નીકળવાનું છે. આ બાતમી પરથી વોચ રાખી બંનેને પકડી લેવાયા હતાં.
જેમાં એક શખ્સે પોતાનું નામ પ્રવિણ ઉર્ફ પવો જયંતિભાઇ રહેવર (ઉ.૨૪-રહે. જયભીમનગર-૬, ભગવતીપરા પુલ ઉતરતા સ્વામીનારાયણ ડેરીવાળી શેરી) જણાવ્યું હતું. બીજો સગીર હતો. આ બંનેની વિશેષ પુછતાછ થતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ચોરી કબુલી હતી. પ્રવિણ ઉર્ફ પવો અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષના ગુનામાં સંડોવાઇ ચુકયાનું સુરક્ષા કવચ એપ્લીકેશનને આધારે જાણવા મળ્યું હતું. હાલમાં પૈસાની ખેંચી હોઇ આ ચોરી કર્યાનું પ્રવિણે કબુલ્યું હતું. મગનભાઇના મકાનમાં મોટી મત્તા હોવાની માહિતી પ્રવિણ ઉર્ફ પવાને તેના ઘર પાસે જ રહેતાં અને અગાઉ મગનભાઇના ટ્રાવેલ્સમાં નોકરી કરી ચુકેલા કૃણાલ નામના શખ્સે આપી હોઇ કૃણાલને પણ સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે.
પોલીસે પાંચ લાખની રૂદ્રાક્ષ માળા, દોઢ લાખના પાટલા, ૩૫ હજારનું કડુ, ૫૫ હજારની બુટી, સવા લાખનુ ડોકીયુ, ૭૦ હજારનુ બાજુબંધ, ૧૬ હજારના ચાંદીના સાંકળા, પીળી ધાતુનો ખોટો હાર તથા એકટીવા કબ્જે કર્યા છે.પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન, કોન્સ. અમીનભાઇ, હરસુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.