કોરોના સામે બેદરકારી ઘાતક સાબિત થશે... યોગ્ય અંતર રાખો : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ
રાજકોટ : ૨૪મી માર્ચથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાયરસની મહામારી સામે લડવા જાહેર થયેલા ૨૧ દિવસીય લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરાવવા રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અધિકારીગણ અને પોલીસ સ્ટાફ સતત કાર્યરત છે. લોકડાઉનની સ્થિતિમાં કોરોનાની ગંભીરતા નહિં સમજી રસ્તા પર ઉતરી આવતા શહેરીજનોને વારંવાર પોલીસ દ્વારા સમજાવવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સીંગ અને પોતાની જાતે જ ઘરમાં રહી કોરોનાના રાક્ષસને મ્હાત આપવા અપીલ કરતા રહે છે છતાં ચોક્કસ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો સવાર પડે ને પોતાના વાહનો સાથે રસ્તા પર લટાર મારવા નીકળી પડે છે. આવા લોકોને સમજાવવા આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય પોલીસ અધિકારીઓએ રૈયા રોડ ચોકડી નજીક ટ્રાફીક ક્રોસીંગ ઉપર સોશ્યલ ડિસ્ટન્સીંગનો મેસેજ આપવા બંને હાથ ફેલાવી લોકોને આટલુ અંતર તો અવશ્ય જાળવી રાખો તેવું નિર્દેશન આપ્યુ હતું. (ફોટો : સંદિપ બગથરીયા)