કોરોનાએ ફરી માથુ ઉંચકયુઃ સાવચેતી જરૂરી આજે બે મોતઃ ૨૦ કેસ
શહેરનો કુલ આંક ૧૬,૩૩૫એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૫,૯૨૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૧૯૦૧ બેડ ખાલી
રાજકોટ, તા.૪: વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં આજે બે મૃત્યુ થયા છે. જયારે બપોર સુધીમાં ૨૦ કેસ નોંધાયા છે.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૩નાં સવારે ૮ વાગ્યાથી તા.૪ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં બે દર્દીનાં મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૧૯૦૧ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.
બપોર સુધીમાં ૨૦ કેસ
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૨૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૩૩૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૯૨૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૭.૬૨ ટકા રિકવરી રેટ થયો છે.
ગઇકાલે કુલ ૧૪૩૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૯૮ ટકા થયો હતો. જયારે ૩૨ દર્દીઓ સાજા થયા હતા.
જયારે આજ દિન સુધીમાં ૬,૦૦,૫૯૭ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૩૩૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૨ ટકા થયો છે.