કલેકટરના હસ્તે ૩૯ મનોદિવ્યાંગ બાળકોને ‘લીગલ ગાર્ડિયનશીપ' સર્ટિફિકેટ એનાયત
રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે આશરે ૩૯ જેટલાં મનોદિવ્યાંગ બાળકોને ‘લીગલ ગાર્ડિયનશીપ' સર્ટિફિકેટ એનાયત કરાયાં હતા. આ તકે કલેકટરે કહ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળકો માટે ‘લીગલ ગાર્ડિયનશીપ' સર્ટિફિકેટ એક કિંમતી દસ્તાવેજ છે. આ સર્ટિફિકેટના આધારે બાળકોને સરકારની યોજનાકીય સેવાઓનો લાભ સરળતાથી મળી શકે છે. ઉપરાંત, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમને સહાય પુરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન શેરસીયાએ ‘લીગલ ગાર્ડિયનશીપ' સર્ટિફિકેટના મહત્વ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળક ૧૮ વર્ષે પુખ્ત વયનું થાય એટલે તેમના બેન્ક એકાઉન્ટ, વારસાઈ અને નાણાકીય વ્યવહાર અને મિલ્કતો માટે આ સર્ટીફીકેટ ખૂબ અગત્યનું છે. બાળકનો હક કોઈ અન્ય વ્યક્તિ પચાવી ન પાડે, તે માટે કલેકટરે તેના ગાર્ડિયન નીમવાની સત્તા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ૧૮ વર્ષ પહેલાં આ સર્ટિફિકેટ મેળવનાર બાળકે ૧૮ વર્ષનું થયા બાદ ફરીથી આ સર્ટિફિકેટ રીન્યુ કરાવવાનું રહેશે. આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, સમાજ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૭)