ત્રંબાના વડાળીમાં સિંહોએ વાછરડી અને વાછરડાનું મારણ કર્યુઃ તુવેરના પાકમાં લાંબો સમય બેઠા રહ્યા
રાજકોટઃ છેલ્લા ઘણા દિવસોથી સિંહોએ રાજકોટ આસપાસના ગામોમાં પડાવ નાંખ્યો છે અને સતત મારણ પણ કરી રહ્યા છે. ગઇકાલે ત્રંબાની આજી નદી કાંઠે સિંહો પહોંચ્યા હતાં. એ પછી ત્રંબાથી બે કિ.મી. દૂર વડાળીમાં મનસુખભાઇ માધાભાઇ જાદવની વાડીએ બાંધેલી વાછરડીનું મારણ કર્યુ હતું. તેમજ બાજુની જગાભાઇ મેરામભાઇ જાદવની વાડીમાં વાછરડાનું મારણ કર્યુ હતું. એ પછી સિંહો તુવેરના પાકમાં લાંબો સમય સુધી બેસી રહ્યા હતાં. વન વિભાગ સતત સિંહો પર નજર રાખી રહ્યું છે. તસ્વીરમાં મારણ થયેલી વાછરડી-વાછરડાના મૃતદેહ અને વાડી માલિકો જોઇ શકાય છે. ત્રંબાથી જી. એન. જાદવે તસ્વીરો મોકલી હતી. છેલ્લા ઘણા દિવસોથી સિંહોએ ધામા નાંખ્યા હોઇ ખેડૂતો સતત ભયમાં રહે છે. જો કે આ સિંહો માનવભક્ષી ન હોઇ નિયમ અનુસાર તેને પકડી શકાતા નથી. ત્રંબા થી કોટડા સાંગાણી સુધી આ સિંહો લટાર મારી ચુકયા છે. સોૈ પહેલા ત્રંબા વડાળીમાં દેખાયા હતાં. હવે ફરી ફરીને ફરીથી અહિ પડાવ નાંખ્યો છે.