દરેક સિનિયર સિટીઝનોને ૪ હજાર પેન્શન આપો : સોમવારે ધરણા - સૂત્રોચ્ચાર આંદોલન
એક દિવસ પેન્શનર એસોસીએશનને નામ
રાજકોટ, તા. ૪ : ઓલ ઈન્ડિયા પોસ્ટલ એન્ડ આરએમએસ પેન્શનર્સ એસોસીએશન રાજકોટ ડિવીઝન દ્વારા વિવિધ માંગણીઓ સાથે આગામી તા.૮ના સોમવારે સવારે ૧૦ કલાકે હેડ પોસ્ટ ઓફીસ ખાતે ધરણા - સૂત્રોચ્ચાર સાથે આંદોલનાત્મક કાર્યક્રમ રાખેલ છે.ઓલ ઈન્ડિયા પોસ્ટલ એન્ડ આરએમએસ પેન્શનર્સ એસો. રાજકોટ ડિવીઝનના કન્વીનર શ્રી અતુલભાઈ શેઠ (મો.૯૭૨૭૬ ૫૦૯૨૦) અને ટ્રેઝરર શ્રી આર. એલ. દવે (મો. ૮૪૬૦૨ ૪૦૦૫૩)એ જણાવ્યુ હતું કે પેન્શનરોને સતત અન્યાય થઈ રહ્યો છે. સરકાર દ્વારા પેન્શનરોને વધારાની રકમ આપવા ગત મે- ૨૦૧૭માં ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તેનો માત્ર ૩૦ ટકા જ અમલ થયો છે. અમોને એક પણ જગ્યાએથી જવાબો આપવામાં આવતા નથી. તાજેતરમાં પેન્શનર અદાલત મળી હતી. તેમાં પણ જવાબો આપવામાં આવ્યા ન હતા.
તેઓએ વધુમાં જણાવેલ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની હેલ્થ સ્કીમ માટે અમોને વોકહાર્ટ હોસ્પિટલ, દોશી હોસ્પિટલ અને સ્ટર્લીંગ હોસ્પિટલને માન્યતા આપવામાં આવે. તેમજ કોઈપણ ૮૦ વર્ષના સીનીયર સિટીઝનને માસિક રૂ. ૪ હજાર પેન્શન આપવામાં આવે તેવી અમારી માંગણી છે.તસ્વીરમાં શ્રી અતુલભાઈ શેઠ અને શ્રી આર. એલ. દવે નજરે પડે છે.