સુચિત સોસાયટીઓના પ્રશ્ને ગોવિંદભાઈ પટેલની કાલે અધિકારીઓ સાથે બેઠક
આજી નદી શુદ્ધિકરણની કામગીરી પણ આગળ ધપાવાશે
રાજકોટ, તા. ૪ :. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા અને પરિણામ આવતા નવા કાર્યોની અને અધુરા કાર્યો પૂર્ણ કરવાની કામગીરી ૭૦ રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે હાથ ઉપર લીધી છે.શ્રી પટેલે એક નિવેદનમાં જણાવ્યુ છે કે સૂચિત સોસાયટી રેગ્યુલર કરવાનો કાયદો બન્યા પછી તેનો અમલ શરૂ થયો અને ચૂંટણી આવી એટલે કામગીરી ચૂંટણી પુરતી અટકેલ જે હવેથી ફરીથી શરૂ થશે. તા. ૫-૧-૨૦૧૮ના રોજ કલેકટર ઓફિસ ખાતે અધિકારીઓ સાથેની બેઠક મળવાની છે જે કોઈ સૂચિત સોસાયટીને લગતા પ્રશ્નો હોય તે મને ઓફિસે રૂબરૂ મળી શકે છે જેથી તેના નિકાલની કાર્યવાહી શરૂ કરી શકાય.
આજી નદી શુદ્ધીકરણની દિશામાં પણ કામગીરી શરૂ કરવાની સૂચના મુખ્યમંત્રીશ્રી દ્વારા વહીવટી તંત્રને અપાયેલ છે. જેથી તેની પણ ઝડપથી કામગીરી શરૂ થાય તે માટે સક્રીયતાથી તેની પાછળ રહીને કામગીરી જોવાશે. રાજ્ય સરકારને લગતા કે રાજકોટના વિકાસને લગતા કોઈ મહત્વના સૂચનો હોય તો 'અમૃત સ્કવેર' ૩જો માળ, રાજનગર ચોક, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, નાનામૌવા મેઈન રોડ રાજકોટ ખાતે પહોંચાડવા ગોવિંદભાઈએ અનુરોધ કર્યો છે.