રાજકોટ
News of Thursday, 4th January 2018

સંતાન સુખ પ્રાપ્ત ન થતાં પટેલ કારખાનેદારે જીવ દીધો

અનિલભાઇ રૂપારેલીયા નવેળાની જાળીમાં લટકી ગયાઃ લેઉવા પટેલ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૪: મવડી રોડ જીથરીયા હનુમાનજી મંદિર પાસે રામેશ્વર પાર્ક-૨માં રહેતાં લેઉવા પટેલ કારખાનેદાર અનિલભાઇ બાબુભાઇ રૂપારેલીયા (ઉ.૩૫)એ ઘરના નવેળાનો દરવાજો બંધ કરી નવેળાની જાળીમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અનિલભાઇને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજા અને હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર અનિલભાઇ  બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને મવડીમાં વીએમસીનું કારખાનુ ધરાવતાં હતાં. લગ્ન થયાના બાર વર્ષ પછી પણ સંતાનસુખ પ્રાપ્ત ન થતાં અને અનેક દવાઓ કરાવવા છતાં ફળ ન મળતાં માનસિક રીતે તેઓ હતાશ થઇ ગયા હતાં. ગઇકાલે તે નવેળામાં ગયા હતાં અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પત્નિ, માતા, મોટાભાઇએ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં તોડીને જોતાં તે લટકતા મળ્યા હતાં. તાકીદે હોસ્પિટલે ખસેડાયેલ. પણ ત્યારે મોડુ થઇ ગયુ હતું. સંતાન સુખ ન મળતાં આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું છે.

(11:14 am IST)