રાજકોટ
News of Wednesday, 3rd January 2018

જયરાજસિંહના હત્યારાઓનું સરઘસઃ હાથ જોડ્યા-ચાર પગે ચાલ્યા

રિમાન્ડ મળતાં અજયસિંહ વાળા અને તેના સાળા ધનરાજસિંહ જાડેજાની ગાંધીગ્રામ પોલીસ દ્વારા પુનિતનગરમાં લઇ જઇ વિશીષ્ટ ઢબે પુછતાછ : પોલીસની કાર્યવાહી નિહાળવા દરેક ઘરમાંથી લોકો બહાર દોડી આવ્યાઃ સરાજાહેર બંનેની 'સરભરા' થતાં 'ઓય માડી, ઓય બાપા' થઇ ગયા

પોલીસનો પરચોઃ બજરંગવાડીના રેલનગરમાં રહેતાં એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.૨૧)ની વાહન અથડાવાની  બાબતે હત્યા કરી ભાગી ગયેલા બજરંગવાડી પુનિતનગરના અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા (ઉ.૨૬) અને તેના સાળા આશાપુરાનગરના ધનરાજસિંહ બલવીરસિંહ જાડેજા (ઉ.૨૧)ને સરધાર પાસેથી ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતાં તા. ૬ સુધી રિમાન્ડ મંજૂર થયા હતાં. આ બંનેની ફરિયાદી તથા સાહેદો પાસે ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. જેમાં બંનેને ઓળખી બતાવાયા હતાં. દરમિયાન આજે અજયસિંહ અને તેના સાળાને ઘટનાનું રિકન્ટ્રકશન કરવા માટે પુનિતનગરમાં ઘટના સ્થળે લઇ જવામાં આવ્યા હતાં અને આગવી પુછતાછ કરવામાં આવી હતી. પી.આઇ. એચ. આર. ભાટુ, પીએસઆઇ ઓ. જે. ચિહલા, એન.એમ. સોલંકી, એએસઆઇ મહેશભાઇ લુવા, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, પ્રવિણભાઇ મકવાણા, ઘનશ્યામ મેણીયા, રશ્મિન પટેલ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુકેશ ડાંગર, શૈલેષ પટેલ સહિતની ટીમે બંને આરોપીઓ પાસેથી વિશેષ વિગતો ઓકાવવા પુછતાછ કરી હતી. વાહન અથડાવા જેવી વાતમાં થયેલી બોલાચાલી બાદ હત્યા નિપજાવનાર બંને શખ્સની સરાજાહેર આકરી પુછતાછ કરી કાયદાનું ભાન કરાવાયું હતું. તેમજ કૂકડા બનાવાયા હતાં. પોલીસની કામગીરીના દ્રશ્યો જોવા પુનિતનગરમાં દરેક ઘરમાંથી લોકો બહાર નીકળી ગયા હતાં. તેમજ રાહદારીઓ પણ ઉભા રહી જતાં લોકોના ટોળા જામી ગયા હતાં. અજયસિંહ અને ધનરાજસિંહની પોલીસે સરાજાહેર આકરી પુછતાછ કરતાં ઓય માડી-ઓય બાપા થઇ ગયા હતાં. બંનેએ હાથ જોડી માફી માંગી હતી અને ધનરાજસિંહે તો પોક મુકી દીધી હતી. તેમજ ચાર પગે ચાલીને પણ માફી માંગી હતી. પોલીસ કાર્યવાહીના દ્રશ્યો તસ્વીરોમાં જોઇ શકાય છે. પ્રથમ તસ્વીરમાં જ્યાં ઘટના બની હતી તે દર્શાવતાં બંને આરોપી, બીજી તસ્વીરમાં હાથ જોડતાં અને રડતાં તથા ઘરમાંથી કાર્યવાહી જોવા બહાર નીકળેલા ગૃહિણીઓ તેમજ નીચેની તસ્વીરમાં બંને ચાર પગે થયા તે તથા લોકોના ટોળા જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(5:52 pm IST)