મિત્રને આપેલો ચેક રિટર્ન થતા અદાલતમાં ફોજદારી ફરીયાદ
રાજકોટ તા. ૩ : રાજકોટ શહેરમાં મંદીની અસર એવી બધી વધવા પામી છે કે સંબંધના દાવે મિત્ર પાસે લીધેલા નાણા પણ લોકો પરત નથી કરી રહ્યા અને મિત્રો પાસેથી પૈસા ઉઘરાવીને ઓળવી જવાનું વલણ દિવસે દિવસે વધી રહ્યું છે.
આ કેસની વિગત એવી છે કે રાજકોટમાં આંબેડકરનગર, આજીવસાહત શેરી નં.૧૩ માં રહેતા દાફડા જગદીશભાઇ મોહનભાઇએ તેઓના મિત્ર જયદિપ ભાયાણી પાસેથી પૈસાની જરૂર પડતા હાથ ઉછીના રૂ.૩૦,૦૦૦ લીધેલા પરંતુ ઘણો સમય વિતી જવા છતા અને વારંવાર માંગવા પણ પૈસા આપેલ ન હતા. છેવટે આ બાકી લેણાની ઉઘરાણી પેટે જગદીશભાઇ દાફડાએ બેંક ઓફ બરોડાનો ચેક આપેલો.
આ ચેક આ કામના ફરીયાદીએ પોતાની બેંકમાં નાખતા જગદીશભાઇ દાફડાના ખાતામાં પુરતું બેલેન્સ ન હોવાથી ફંડ ઇન્સફીશીયન્ટ ના શેરા સાથે પરત ફરેલ આથી જયદિપ ભાયાણીને વકીલ કુલદિપસિંહ જાડેજા મારફત લીગલ ડીમાન્ડ નોટીસ મોકલાવેલ. આ નોટીસ બજી જવા છતા આરોપીએ પૈસા આપેલ નહી કે નોટીસનો જવાબ પણ આપેલ નહી આથી ફરીયાદીએ રાજકોટની કોર્ટમાં નેગો.ઇન્સ્ટુ.એકટ હેઠળ ચેક રીટર્ન ફરીયાદ કરેલ છે.
આ કામના ફરીયાદી વતી રાજકોટના વકીલ કુલદિપસિંહ બી.જાડેજા તથા હિતેન્દ્ર સોલંકી રોકાયેલ છે.