હજારો લોકો તરસ્યા
છતે પાણી કાલે પાણી વિહોણાઃ કોંગ્રેસ
અડધી કલાક પાણી આપવાના વચનનું સુરસુરિયુઃ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાનો આક્ષેપ
રાજકોટ, તા. ૩ :. કોર્પોરેશન દ્વારા આવતીકાલે ૩ વોર્ડમાં પાણીકાપ લગાવવામા આવ્યો છે ત્યારે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યુ હતુ કે, તંત્રની અણઆવડત અને વિવિધ બહાના હેઠળ કાલે શહેરના મેયર વોર્ડ સહીતના ૩ વોર્ડના વિસ્તારોમાં પાણીકાપ છે. તાજેતરમાં ચૂંટણી પહેલા રાજકોટને નિયમીત અને શહેરની જનતાને દરરોજ અડધી કલાક પાણી આપવાની વાતનું સૂરસૂરીયુ થઈ ગયાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતુ કે શહેરના ઘણાખરા વિસ્તારોમાં ૨૦ મીનીટ પુરતુ પાણી અપાતુ નથી. પાણીની લાઈનો નથી શહેરના વોર્ડના અનેક વિસ્તારોમાં આજે ટેન્કર આધારીત છે ત્યારે શાસકોની અણઆવડતને પગલે છતે પાણી એ શહેરને પુરતુ પાણી મળતુ નથી. સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૩ ડેમો છલકાવી દેવાની વાતો હવામાં રહી છે. આજી ડેમ પર કુદરતે મહેરબાની કરીને રાતોરાત છલકાવી દેવા છતા પાણી ૨૦ મીનીટને બદલે અડધી કલાક આપવામાં આવતુ નથી અને નર્મદાના નામે ભાજપે રાજકીય રોટલા શેકયા છે. હવે નર્મદાના નીર પણ ઝાંઝવાના જળ સમાન સાબિત થયા છે. કરોડોની યોજના કરોડો ખર્ચાયા પછી પાણીકાપ શા માટે ? તેમ અંતમાં વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યુ હતું.