રાજકોટ
News of Wednesday, 3rd January 2018

આકાશમાં ગુરૂવાર સુધી કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

આજે આતશબાજી જેવો માહોલ જામશે : મધ્યરાત્રીથી પરોઢ સુધી નિહાળી શકાશે : ખગોળીય ઘટનાનું અવલોકન કરવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૨ : ડીસેમ્બરમાં દુનિયાભરના લોકોએ જેમીનીડસ ઉલ્કા સ્પષ્ટ નિહાળી હતી. હવે મંગળવારથી ગુરૂવાર સુધી કવોડરેન્ટીડસ ઉલ્કાઓ નિહાળી શકાશે તેમ ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવ્યુ છે કે જાન્યુઆરીના પ્રારંભથી તા. ૪ સુધી આકાશમાં કવોડરેન્ટીસ ઉલ્કાવર્ષા મધ્યરાત્રીથી પરોઢ સુધીના સમયે નિહાળી શકાશે. તા. ૩ ના કલાકથી ૧૫ થી ૫૦ ઉલ્કાઓ વરસવાથી દિવાળીની આતશબાજી જેવો માહોલ આકાશમાં જોવા મળશે. નરી આંખે પણ નિર્જન જગ્યાએથી નિહાળી શકાશે. જાથા દ્વારા પડધરીના ખોડાપીપર મુકામે રાજયકક્ષાનો કાર્યક્રમ આજરોગ તા. ૩ ના ગોઠવવામાં આવેલ છે. તેમાં આ નજરો નિહાળી શકાશે.

ઉલ્કાવર્ષા પાછળ ધુમકેતુઓ કારણભુત છે. ઉલ્કા વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે ઘર્ષણ કરે ત્યારે તેના ટુકડાઓ સળગી ઉઠે અને તેજ લીસોટા રચયા છે. કયારે અગનગોળા જેવા આકારો પણ રચાય છે.

શ્રી પંડયાએ જણાવ્યુ છે કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે મેટીયોર ઉલ્કા તરીકે ઓળખાય છે. પૃથ્વી ઉપર દિવસના સુર્યપ્રકાશ દરમિયાન પણ ઉલ્કાઓ પડતી હોય છે પણ તે જોઇ શકાતી નથી.

લોકો ખગોળીય ઘટનાઓનું અવલોકન કરી અભ્યાસ કરે તેવી જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે.

(11:11 am IST)