રાજકોટ
News of Tuesday, 3rd December 2019

પોલીસના 'ઓપન હાઉસ'માં વાહનચાલકોનો એક જ અવાજ...શહેરમાં હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપો

સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા માટે યોજાયો સેમિનારઃ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર-ડીસીપી-એસીપીએ પ્રજાજનોના સુચનો સાંભળ્યા અને વિવિધ ટ્રાફિક સમસ્યા દૂર કરવા ભવિષ્યના આયોજન જણાવ્યાઃ સેમિનારમાં હેલ્મેટની હૈયાહોળી જ મુખ્ય મુદ્દો બની

સેમિનારનું ઉદ્દઘાટન કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી.એ. ચાવડા તથા બીજા અધિકારીઓ અને ઉપસ્થિત નગરજનો જોઇ શકાય છે

રાજકોટ તા. ૩:ઙ્ગશહેરમાં  ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે થાય રહે અને નાગરીકોની સલામતી તેમજ સુગમતા જળવાઇ રહે તે માટે વાર્તાલાપ અને સુચનો અંગેનો સેમિનાર શહેર પોલીસ દ્વારા 'ઓપન હાઉસ'ના શિર્ષક હેઠળ હેમુ ગઢવી હોલમાં યોજાયો હતો. જેમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું ઙ્ગકે,ઙ્ગરાજકોટ શહેરના ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવશે. જો કે આ વાર્તાલાપમાં ઉપસ્થિત લોકોએ સોૈથી વધુ તકલીફ હેલ્મેટના કાયદાને કારણે થઇ રહ્યાનો ઉભરો રોષપૂર્વક ઠાલવ્યો હતો. હેલ્મેટ અને મસમોટા દંડથી હેરાન-પરેશાન વાહન ચાલકો અને સિનીયર સિટીઝનોએ પોતાની વ્યથા ઠાલવી હતી. જેમાં હેલ્મેટને શહેરમાંથી હાંકી કાઢવાની માંગણી પ્રબળ હતી. નોંધનીય છે કે હેલ્મેટના કાયદાનો વિરોધ કરવા માટે શહેર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ પણ શરૂ થઇ છે અને તેમાં રોજબરોજ હજ્જારો વાહન ચાલકો સામેલ થઇ રહ્યા છે.

ઙ્ગઓપન હાઉસમાં અધિકારીશ્રીએે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ૧૮ઙ્ગલાખની વસ્તી છે અને તેની સામે ૨૦ઙ્ગલાખ વાહનો છે આ કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. અમે ટ્રાફિક નિયમન માટેના તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. શહેરીજનોના મંતવ્યો પણ આ ઓપન હાઉસના માધ્યમથી મેળવીને પ્રજા અને પોલીસની લોક ભાગીદારીથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. નજીકના ભવિષ્યમાં શહેરના ગીચ એવા ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં દ્વીચક્રીય સિવાયના વાહનોનો પ્રવેશબંધ કરવામાં આવશે. જો કે તેમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. શહેરમાં અકસ્માતના બનાવો વખતેે હેલ્મેટ આપણને રક્ષા,ઙ્ગસુરક્ષા અને સલામતી બક્ષે છે. જો કે ઉપસ્થિત લોકો-વાહનચાલકો-સિનીયર સિટીઝનોનો સૂર હેલ્મેટના કાયદાને હટાવવો જ જોઇએ તેવો જ રહ્યો હતો.

આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિશાળ સ્ક્રીન પર શહેરની ટ્રાફિક સમસ્યા અંગેની માહિતી રજૂ કરી હતી. ઉપસ્થિત શહેરીજનોએ શહેરના ટ્રાફિક સમસ્યા અંગેના વિવિધ ઉપાયો સુચવ્યા હતા. સ્ક્રીન પર નોંધ હતી કે શહેરમાં વર્ષમાં હત્યાના બનાવ વીસથી બાવીસ થાય છે, જ્યારે ચાલુ વર્ષે કુલ ૪૩૩ વાહન અકસ્માતમાં ૧૪૦ના મોત થયા છે તેમાં ૩૩ ટકા યુવાનો હતાં. શહેરમાંથી નીકળતા હાઇવે પર સોૈથી વધુ શનિવારે ૪૯ના વાહન અકસ્માતમાં મૃત્યુ થયા છે, જ્યારે સોૈથી ઓછા મંગળવારે ૩૬ જીવલેણ અકસ્માત થયા છે. સવારે દસ વાગ્યે, સાંજે ચાર વાગ્યે અને રાતે આઠ વાગ્યે વધુ અકસ્માત થયા છે. 

આ પ્રેઝન્ટેશન પછી લોકોના સુચનો, સમસ્યાઓ જાણવા માટે અધિકારીઓએ શરૂઆત કરતાં જ સોૈથી મોટી મુશ્કેલી હેલ્મેટ જ હોવાની રજૂઆત થઇ હતી. લોકોએ કહ્યું હતું કે હેલ્મેટના મામલે પોલીસ દંડનો આશય નથી ધરાવતી છતાં રોજ લાખોનો દંડ થાય જ છે. શહેરમાં મોટા ભાગે ટુવ્હીલર ચાલકોની સ્પીડ મધ્યમ હોય છે, ત્યારે હેલ્મેટની જરૂર જણાતી નથી. હેલ્મેટ પહેરીને ગુનેગારો ગુનાઓને પણ અંજામ આપશે ત્યારે તકલીફ પડશે. બોંતેર વર્ષના નિવૃત બેંક કર્મચારીએ ઉકળાટ ઠાલવ્યો હતો કે આ ઉમરે અમે અમારું માથું માંડ ઉપાડી શકીએ છીએ ત્યારે હેલ્મેટનો ભાર કેમ ઉંચકવો? કમ સે કમ સિનીયર સિટીઝનને તો મુકિત આપો. એક નાગરિકે સૂચન કર્યુ હતું કે વન-વે મોટા અક્ષરે દેખાય એવા બોર્ડ મુકવા જોઇએ. કોઇ વાહન ચાલક ભુલથી ખબર ન હોય અને વન-વેમાં ઘુસી જાય તો તરતર પંદરસોનો ચાંદલો થાય છે.આ ઉપરાંત લોકોએ શહેરની પાર્કિંગ વ્યવસ્થા તથા ટ્રાફિક પોલીસ, વોર્ડનના વર્તન-વર્તુણક તેમજ અન્ય અલગ-અલગ બાબતો અંગે રોષ ઠાલવ્યો હતો અને રજૂઆત કરી હતી. પોલીસનો હેતુ સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા માટેના સુચનો માટેનો હતો. પરંતુ સરવાળે આ ઓપન હાઉસમાં હેલ્મેટનો મુદ્દો જ મહત્વનો બની ગયો હતો. એકાદ કલાક બાદ લેખિતમાં પ્રશ્નો આપવાનું સુચન પણ કરાયું હતું.

પોલીસ કમિશનર શ્રીએ કહ્યું હતું કે શહેરમાં વન-વેની યાદી જાહેર કરાશે અને નો-પાર્કિંગના બોર્ડ દેખાય તે રીતે લગાવવામાં આવશે. આ ઉપરાંત જુના રાજકોટના કેટલાક વિસ્તારમાં અમુક સમય માટે વાહનોને પ્રતિબંધીત કરી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ થશે. તો હેલ્મેટનો દંડ વસુલવાને બદલે સ્થળ પર રકમ વસુલી હેલ્મેટ આપવાની પણ શરૂઆત થશે.

ઓપન હાઉસમાં જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ એહમદ અને મદદનીશ પોલીસ કમિશ્નર ( ટ્રાફિક) બી. એ. ચાવડા,ઙ્ગબોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાય સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)