રાજકોટ
News of Tuesday, 3rd December 2019

ન્યારામાં પૂ.ગુરૂદેવ ૧૦૦ વર્ષ પહેલા પધારેલાઃ શતાબ્દી મહોત્સવ ઉજવાશેઃ રામાયણ-દેવી ભાગવત કથા

૧૫મીથી રામચરિત માનસ અને દેવી ભાગવતઃ પૂ.હરીચરણદાસબાપુ ઉપસ્થિત રહેશે : કથાકાર પૂ.શ્યામસુંદરજી મહારાજ અને પૂ.આસ્તિક મહારાજ જ્ઞાનગંગા વહાવશેઃ દરરોજ રાત્રીના કાર્યક્રમોઃ રાજકોટ થી ન્યારા ગામ સુધી બસ વ્યવસ્થા

રાજકોટ,તા.૩: પૂ.ગુરૂદેવશ્રી રણછોડદાસજી મહારાજ ન્યારા પધાર્યાના એકસો વર્ષ થતા હોય શતાબ્દી મહોત્સવનું ભવ્યાતિતભવ્ય આયોજન રામાયણ તથા દેવી ભાગવતની અદ્દભુત કથા નવદિવસ દર્શન- કથા શ્રવણ- મહાપ્રસાદ સાથે અનેક ધાર્મીક મનોરંજન કાર્યક્રમો યોજાયા છે.

ચિત્રકુટ નિવાસી કથા સમ્રાટ શ્રી શ્યામ સુંદરજી મહારાજની સંગીતમય ભીની વાણીથીશ્રી રામ ચરિતમાનસ (સમૂહ પાઠ) તેમજ રાજકોટના ખ્યાતનામ ભાગવતાચાર્ય શ્રી આસ્તિક મહારાજની સુમધુર વાણી વહાવશે.

સદ્દગુરૂદેવ પૂ.રણછોડદાસજી મહારાજના સર્વપ્રથમ પૂનિત પગલાથી પતીત પાવન ભૂમી ન્યારાનાં ધ્યાન મંદીરના પટાંગણમા રવિવાર તા.૧૫/૧૨ને રવિવારથી તા.૨૩/૧૨ને સોમવાર સુધી ન્યારા- રાજકોટ- પડધરી તેમજ આસાપાસના ગ્રામ્ય વિસ્તારને જેનો દુર્લભ લાભ મળવાનો છે. તે શ્રી રામ અને શીવજીના શુભ સંગમના વચનામૃતો અને શ્રી રામચરિત માનસ (સમૂહપાઠ) તેમજ વિરલ એવી દેવી ભાગવત કથાના આયોજન આડે હવે ગણત્રીના દિવસો બાકી છે. ત્યારે આ આયોજનમાં નવે દિવસ ઉપસ્થિત રહેનાર અને દરરોજ સાંજે ૬ થી ૭ પોતાની સુમધુર વાણીથી શ્રી રામ માનસ કથા તેમજ દેવી ભાગવત કથા વિષે સારાંશ પ્રવચન શ્રી હરિચરણદાસજી બાપુ આપનાર છે.

વ્યાસપીઠ ઉપર ચિત્રકુટના વિખ્યાત રામાયણ વિદ કથાકાર શ્રી શ્યામ સુંદરજી મહારાજ બીરાજશે. ખ્યાતનામ ભાગવતાચાર્ય શ્રી આસ્તિક મહારાજ તેમની મધુર વાણીથી દેવીભાગવત દ્વારા શ્રોતાઓને ડોલાવશે.

પોથીયાત્રા રવિવારે તા.૧૫/૧૨ સાંજે ૪ કલાકે શ્રી હરિચરણદાસજી બાપુની અમી વર્ષા તથા અબીલ ગુલાલની વર્ષા વચ્ચે નગરયાત્રા નીકળશે.

દરરોજ રાત્રે ૯ વાગ્યાથી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો યોજાયેલ છે. જેમાં શ્રી સત્યનારાયણની કથા, શ્રી રાંદલમાતાજીના લોટા, શ્રી નાથજીની ઝાંખી, રાસોત્સવ કસુંબલ ડાયરો, પ્રખ્યાત ભજનીક અશોકભાઈ ભાયાણીના ભજનો, રામઅર્ચના, સુંદરકાંડના પાઠ.જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

રાજકોટથી શ્રી સદ્દગુરૂ આશ્રમ, સોરઠીયાવાડી, ત્રીકોણબાગ, હોસ્પિટલ ચોકથી સીટીબસની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. ભાવિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે મો.૯૪૦૮૭ ૫૩૦૯૩ / ફોન (૦૨૮૨૦) ૨૮૪૬૨૩

(3:40 pm IST)