અસામાજિક તત્વો પર તૂટી પડો, 'પાસા'ની હારમાળા સર્જી દયોઃ સરકારનો આદેશ
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા વધુ એક પ્રયાસ
રાજકોટ, તા. ૩ :. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા સરકારે વધુ એક પ્રયાસ કર્યો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર ગુન્હો કરવાની માનસિકતાવાળા તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવા સરકારે સૂચના આપી છે. થોડા દિવસ પહેલા કલેકટર કોન્ફરન્સમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહી આ બાબતે આદેશ આપ્યો હતો.
કમિશનરેટ એરીયાની સરખામણીએ કલેકટરોના વિસ્તારમાં પાસાના કેસ ઘણા ઓછા બનતા હોવાનું અને ગુન્હાખોરીનું પ્રમાણ નોંધપાત્ર હોવાનું સરકારના ધ્યાને આવતા પાસાવાળી કરવા સૂચના આપી હતી. પાસા હેઠળ પકડાયેલ શખ્સને વધુમાં વધુ ૧ વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. સામાન્ય રીતે ૩ થી વધુ ગુન્હા કર્યા હોય અને જેની હાજરી સમાજમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને વિપરીત અસર કરે તેવી હોય તેવા લોકોને પાસા હેઠળ પકડવામાં આવે છે. ચોરી, લૂંટ, દારૂના ધંધા વગેરે બાબતે આક્રમક વલણ અપનાવવા સરકારે સૂચના આપી છે.(૨-૨૩)