કોઠારીયાના પુર્વ સરપંચ મનસુખભાઇ પટેલને ‘તારા ટાંટીયા ભાંગી નાખવા છે, મારી જ નાખવો છે' કહી રવજી પરસાડીયાની ધમકી
રાજકોટઃ કોઠારીયા રોડ સુરભી રેસિડેન્સી બ્લોક નં. ૭૧માં રાધેશ્યામ કૃપા ખાતે રહેતાં બાંધકામના ધંધાર્થી તેમજ કોઠારીયા ગામના પુર્વ સરપંચ મનસુખભાઇ ઉર્ફ કાળુભાઇ કેશુભાઇ ઠુમ્મર (પટેલ) (ઉ.૫૬)ને પોતે કોઠારીયા ગામના દરવાજા પાસે હતાં ત્યારે કોઠારીયા ભરવાડવાસમાં રહેતાં રવજી બટુકભાઇ પસાડીયા નામના શખ્સે કોઇપણ કારણ વગર ગાળો દઇ ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ છે.
આજીડેમ પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ કરી છે. મનસુખભાઇ પટેલે કહ્યું હતું કે હું વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી કોઠારીયા ગામનો સરપંચ હતો. મારો જન્મ આ ગામમાં જ થયો હોઇ જેથી ગામના દરેક લોકોને ઓળખુ છું. શનિવારે હું ગામના દરવાજે હતો ત્યારે રવજી પરસાડીયા આવી મને કારણવગર ગાળો દેવા માંડતા તેને શા માટે ગાળો દે છે? તેમ પુછતાં તેણે આજે તો તારા ટાંટીયા ભાંગી નાખવા છે, તને મારી જ નાખવો છે તેમ કહી વધુ ગાળો દીધી હતી. કારણ પુછતાં કોઇ જવાબ આપ્યો નહતો. એ પછી મેં મારા મિત્ર રાજુભાઇ પરસાડીયા અને ચોકીદાર દાનાભાઇ, સંજયભાઇને જાણ કરી હતી અને પોલીસ સ્ટેશને આવ્યો હતો. એએસઆઇ એસ. એસ. ગોસાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.