રાજકોટ
News of Friday, 3rd July 2020

આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સજાગ રહેવાનો સમય છે, ધનવંતરી રથનો પ્રારંભ કરાવતા અલ્પાબેન ખાટરિયા

રાજકોટ જિલ્લામાં રર રથ ફરશેઃ ગામડે-ગામડે નિઃશુલ્ક તબીબી તપાસ-સારવાર

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેનન અર્જુનભાઇ ખાટરીયાએ  આજે સવારે કોટડાસાંગાણી ખાતેથી ધનવંતરી આરોગ્ય રથને પ્રસ્થાન કરાવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૩ :.. જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા વર્તમાન કોરોનાની મહામારીના સમયમાં જન આરોગ્ય જાળવી રાખવા સરકારની યોજના મુજબ જિલ્લામાં ધનવંતરી રથ ફરતા કરવામાં આવ્યા છે. આજે શુક્રવારે કોટડાસાંગાણી ખાતે તાલુકાના રથને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ડોકટર અને તેના સહાયકો તબીબી સુવિધા સાથે આ રથમાં સેવામાં રહે છે.

રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં આ રથ ગામડે ગામડે ફરશે. મોટા તાલુકાઓમાં એકથી વધુ અને નાના તાલુકામાં એક-એક મળી કુલ-ર૯ રથ લોક સેવામાં મુકવામાં આવ્યા છે. ધનવંતરી રથમાં દર્દીના શરીરનું તાપમાન માપવાની ઓકસીઝનનું પ્રમાણ માપવાની બ્લડ પ્રેસર તથા ડાયાબીટીસ તપાસ કરવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. કોઇ દર્દીને કોરોનાના લક્ષ્ણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પીટલમાં મોકલવામાં આવશે. ધનવંતરી રથમાં પ્રાથમિક તબીબી સુવિધા વિનામુલ્યે આપવામાં આવે છે. રોગ પ્રતિકારક શકિત વધારવા માટે આર્યુવેદિક અને હોમયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવે છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયાએ જણાવેલ કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યારે ખુબ જ સાવચેત રહેવાનો સમય છે. જિલ્લાના લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા પુરી પાડવાની જિલ્લા પંચાયત તંત્રની નેમ છે. ધનવંતરી રથ ગામે ગામ ફરીને લોકોના આરોગ્યની તપાસ કરશે. આ હરતું ફરતું દવાખાનું છે. તાવ, શરદી, ઉધરસ વગેરેના દર્દીઓને ઘર આંગણે જ તબીબી સારવાર મળી રહેશે. કોરોના સામે અડીખમ યોધ્ધા બનીને લડતા ડોકટરો અને તેના સહયોગી કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. વિશ્વમાં આરોગ્યની વાત કરનાર નિરામય વિચારો અને સ્વાસ્થ્ય સંપન્ન તથા વ્યાધિમુકત જીવન બનાવવાની વિચારધારા તબીબી ક્ષેત્રે મુકનાર પ્રથમ ભારતીય વિભૂતિ ભગવાન ધનવંતરી છે. તે આપણું વૈશ્વિક ગૌરવ છે. તેમના નામ સાથે જોડાઇને ફરતા ધનવંતરી રથ જન આરોગ્યની સુખાકારી વધારવામાં મહત્વનો ભાગ ભજવશે. જરૂરીયાતમંદ લોકો તેનો લાભ મેળવે તેવી મારી અપીલ છે.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ તે સમયે ડોકટરો તથા તેમનો પેરા મેડીકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ તેમજ ગામના પદાધિકારીશ્રીઓ શ્રીમતી દિવાળીબેન સરવૈયા, તા. પં. પ્રમુખશ્રી, નરેન્દ્રભાઇ સોલંકી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી, શ્રી સુરેશભાઇ લુણાગરીયા ઉપપ્રમુખ માર્કેટીંગ યાર્ડ, બાબુભાઇ સાવલીયા ઉપપ્રમુખશ્રી જિ. કોંગ્રેસ તથા અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

(3:44 pm IST)