રાજકોટમાં ભર ઉનાળે પાણીના ધાંધિયાઃ ૬ વોર્ડમાં દેકારો
હવે આ બાકી હતુ...ગઇકાલથી નર્મદાનીરમાં ઓચિંતો કાપ?! : વોર્ડ નં. ૧, ર, ૩ નાં અર્ધા વિસ્તારોમાં પાણી વિતરણ નહી થતા લોકરોષઃ વોર્ડ નં. ૧૦, ૧૧, ૧ર, ૧૩માં પ થી ૬ કલાક મોડુ મળતા ગૃહીણીઓમાં કચવાટ
રાજકોટ તા. ૩ :.. શહેરમાં એક તરફ કોરોના સંક્રમણનાં ફફડાટનો માહોલ છે ત્યારે બીજી તરફ આ ભર ઉનાળામાં પાણીનાં ધાંધિયા સર્જાતાં નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટનાં પાણી વિતરણનાં આધાર સ્તંભ સમી નર્મદા કેનાલ યોજનાનું લેવલ ગઇકાલથી તુટવા લાગતૉ રાજકોટને મળતાં નર્મદા નીરમાં ઓચિંતો કાપ આવી ગયો છે.
આમ નર્મદાનીર ઓછા મળતા ગઇકાલે ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશને પાણી નહી મળતાં આજે આ વિસ્તારના વોર્ડ નં. ૧૦, ૧૧, ૧ર અને ૧૩ માં પ થી ૬ કલાક મોડુ પાણી વિતરણ થતાં લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી.
તેવી જ રીતે વોર્ડ નં. ૧, ર, ૩ માં શિવપાર્ક રૈયા રોડ, ગાંધીગ્રામ, બજરંગવાડી, રંગ ઉપવન, શિવપરા, રામનગર, સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ થયુ જ ન હતું. આથી ત્રણેય વોર્ડની ગૃહીણીઓમાં પાણી બાબતે જબરો રોષ જોવા મળ્યો હતો.
આમ ભર ઉનાળે પાણીનાં ધાંધીયા સર્જાતાં શહેરીજનો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતાં.