પરિવાર મૃતદેહ મૂકીને રફૂચક્કર થઈ જતા અંતિમવિધિ અટવાઈ
રાજકોટ : કોરોના સંક્રમિત આધેડનું મોત : હોસ્પિ. તંત્ર દ્વારા કેસ પેપરમાં લખાવેલા ફોન નંબર પર ફોન કરવામાં આવતા ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો
રાજકોટ,તા.૨ : રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે. કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નિપજતા પરિવાર રફુચક્કર થતા તેની અંતિમવિધિ અટકી પડી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકના વાલી સિવિલ કોવિડ સેન્ટરનો સંપર્ક સાધવા વિનંતી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પારસભાઈ કાલરીયા નામના ૫૫ વર્ષીય વ્યક્તિ કોરોના સંક્રમિત થતા ૧૦૮ મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી કરાવવામાં આવ્યા હતા.
ત્યારે પહેલી મેના રોજ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અંતિમવિધિ માટે તેમના વાલી વારસનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર તેમનો સંપર્ક ન થતાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર એમ. સી. ચાવડાએ મૃતકના વાલીવારસ આ અંગે કોઇને જાણ થાય તો સિવિલ કોવિડ માં સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થતાં તેના પરિવારજનો મુદ્દે છોડી રફુચક્કર થઈ જતાં તેની અંતિમવિધિ અટકી હતી.
જે કિસ્સામાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કારણે મોતને ભેટેલા એક વૃદ્ધા મોનિકા બેન અમૃતલાલ ખખર ઉંમર વર્ષ ૭૮ નો મૃતદેહ અંતિમવિધિ માટે લઈ જવાના બદલે પરિવાર લાપતા થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાના બદલે લાપતા થઈ જતા હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું હતું. હાલની ગંભીર સ્થિતિમાં મૃતક વૃદ્ધાના વાલી વારસને શોધવા માટે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ થયેલા એક વૃદ્ધાનું રાત્રે મોત નીપજ્યું હતું. પરંતુ તેમના સગાસંબંધીઓનો સંપર્ક થઈ શકતો નથી. હોસ્પિટલ તંત્ર દ્વારા કેસ પેપરમાં લખાવેલા ફોન નંબર પર ફોન કરવામાં આવતા ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો.