રાજકોટ
News of Saturday, 3rd March 2018

મવડી કૈલાસપાર્કમાં થાંભલા પરથી પટકાતાં લેઉવા પટેલ અશોકભાઇ ધામેલીયાનું મોત

જમીન-મકાનના ધંધાર્થી ૨૮મીએ શેરીમાં યોજાયેલી ભાગવત સપ્તાહ પુરી થતાં દોરી છોડવા થાંભલે ચડ્યા ત્યારે પડી ગયા'તાઃ ધુળેટીના દિવસે દમ તોડ્યોઃ પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૩: મવડી પ્લોટ ૧૫૦ રીંગ રોડ પર માધવ વાટીકા કૈલાસ પાર્ક શેરી નં. ૩માં રહેતાં જમીન-મકાન લે-વેંચના ધંધાર્થી અશોકભાઇ ગોકળભાઇ ધામેલીયા (ઉ.૪૩) નામના પટેલ યુવાન ૨૮મીએ પોતાની શેરીમાં ગોપી મંડળે બેસાડી સપ્તાહની પૂર્ણાહુતિ થઇ હોઇ થાંલભા પર બાંધેલી દોરી છોડવા જતાં અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેનું ધુળેટીના દિવસે મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ કૈલાસ પાર્કમાં રહેતાં અશોકભાઇ ૨૮મીએ સાંજે ઘર પાસે વિજ થાંભલા પર ચઢી દોરી છોડી રહ્યા હતાં ત્યારે પગલ લપસતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી ઘરે લઇ જવાયા બાદ શુક્રવારે ફરી તબિયત બગડતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર અશોકભાઇ મુળ જામકંડોરણાના તરકાસર ગામના વતની હતાં અને જમીન-મકાન લે-વેંચનું કામ કરતાં હતાં. તેમના માતા-પિતા હયાત નથી. પોતે ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. પત્નિનું નામ નિપાબેન છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૯)

(9:59 am IST)