રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા 'ગ્રાહક સંવાદ': ૩ દિવસ માટે ભ્રષ્ટાચાર વિરોધી ખાસ ઝુંબેશ
રાજકોટ, તા., ૩: રેલ્વે બોર્ડના ચેરમેનના આદેશ અનુસાર રેલ્વેના મુસાફરો અને વિવિધ સેવાઓનો લાભ લેતા રેલ્વેના ગ્રાહકોની વાસ્તવિક જરૂરીયાતો અને સુવિધા જાણવા માટે ગ્રાહક સંવાદના નામનો ખાસ સેમીનાર ડીવીઝનલ રેલ્વે મેનેજર પી.બી.નિનાવે અને અધિકારીઓએ યોજયો હતો. આ સેમીનારમાં પાર્સલ હેન્ડલર્સ, ગુડઝ અને ફ્રેઇટ કોન્ટ્રાકટરો સહિત જે જે લોકો રેલ્વે સાથે ધંધાકીય રીતે કે ગ્રાહક રીતે જોડાયેલા છે તે લોકો ઉપસ્થિત રહયા હતા. આ સેમીનારમાં ગુડઝ સેડનું રીનોવેશન અને સમગ્ર પ્લેટફોર્મ એરીયાને રૂફથી કવર કરી લાઇટોથી ઝળહળતા બનાવવા અને ટ્રેડર્સ રૂમમાં લેપટોપ અને મોબાઇલ ચાર્જીગની સુવિધા વધારવા કેન્ટીનમાં જરૂરી ફેરફારો કરવા, કામદારો માટે બાથરૂમ અને જાજરૂની અલગ વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓની રજુઆત કરવામાં આવી હતી.
આ દરમિયાન જ ગ્રાહકો અને મુસાફરો રેલ્વેની કોઇ પણ સીસ્ટમમાં લાંચ વૃતિનો ભોગ ન બને તે માટે આજથી રેલ્વે પ્રોટેકશન ફોર્સ અને કોમર્શીયલ ઓફીસર્સ અને ઇન્સ્પેકટર્સની બનેલી એક ખાસ ટીમે રાજકોટ ડીવીઝનમાં ઓચિંતી ઝુંબેશ આદરી છે.