લગ્ન વગર રિક્ષાચાલક સાથે રહેતી ગીતાબેન કોળીનો સળગીને આપઘાત
છુટાછેડા બાદ જયેન્દ્રસિંહ ઝાલા સાથે રહેતી'તીઃ માનસિક બિમારીથી કંટાળીને પગલું ભર્યુઃ માર્કેટ યાર્ડ પાસેના સાગરનગરનો બનાવ
રાજકોટ તા. ૩: માર્કેટ યાર્ડ પાસે સાગર નગરમાં રહેતાં ગીતાબેન કાનજીભાઇ વીસણીયા (ઉ.૪૪) નામના કોળી મહિલાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કોળી જ્ઞાતિના ગીતાબેન છૂટાછેડા બાદ દરબાર યુવાન સાથે લગ્ન વગર જ રહેતાં હતાં. માનસિક બિમારીને કારણે પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ગીતાબેન ગત સાંજે દાઝી જતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેણે જાતે કેરોસીન છાંટી કાંડી ચાંપી લીધાનું હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું. સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ ગીતાબેનના છૂટાછેડા થઇ ગયા હતાં અને કેટલાક સમયથી તે રિક્ષાચાલક જયેન્દ્રસિંહ ઝાલા સાથે પત્નિ તરીકે રહેતાં હતાં. માનસિક બિમારીથી કંટાળી પગલું ભર્યાનું ખુલ્યું છે.
ગંભીર પ્રકારની બિમારીથી દેવપરાના પરેશભાઇ ટાંકનું મોત
દેવપરા ભવનાથ મહાદેવ મંદિર પાસે ઇન્દિરાનગર મેઇન રોડ પર રહેતાં પરેશભાઇ લાલજીભાઇ ટાંક (ઉ.૪૧)ને ગંભીર પ્રકારની બિમારી હોઇ અને બે-ત્રણ દિવસથી તાવ આવતો હોઇ ગત સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇએ ભકિતનગરમાં જાણ કરી હતી. મૃતક પરિવારના એકના એક આધાર હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોતે લાદીકામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવામાં શોક છવાઇ ગયો હતો.
પંચાયતનગરના સંજયભાઇ ડોડીયાનું બેભાન હાલતમાં મોત
પંચાયતનગર-બી-૫૬ શેરી નં. ૩માં રહેતાં સંજયભાઇ મહેશભાઇ ડોડીયા (રજપૂત) (ઉ.૫૦)ને રાત્રે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના પી.એન. ત્રિવેદી અને દિપસિંહે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃતક રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)