રાજકોટ
News of Saturday, 3rd February 2018

સિંધાવદર પાસે રિક્ષા પલ્ટી જતાં મોરબીના રબારી મહિલાનું મોતઃ બે મહિલાને ઇજા

દશામાના દર્શન કરી પરત આવતી વખતે બનાવઃ ચાલક હરેશભાઇનો બચાવ

રાજકોટ તા. ૩: વાંકાનેરના સિંધાવદર નજીક સીએનજી રિક્ષા પલ્ટી ખાઇ જતાં મોરબીના ત્રણ રબારી મહિલાને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી એકનું મોત નિપજ્યું હતું.

 

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મોરબી જલારામ પાર્કમાં રહેતાં સોનીબેન લક્ષમણભાઇ કલોતરા (ઉ.૬૦) નામના રબારી વૃધ્ધા તથા તેના પડોશમાં જ રહેતાં સગા મીનાબેન જીવણભાઇ કલોતરા (ઉ.૫૦) તથા વાંકાનેરના કાંતાબેન જેમલભાઇ કલોતરા (ઉ.૫૦) ગઇકાલે ભાણેજ હરેશભાઇ ભવાનભાઇ ભાંગરાની સીએનજી રિક્ષામાં બેસી સિંધાવદર દશામાના મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે સિંધાવદર પાસે રિક્ષા પલ્ટી મારી જતાં ત્રણેયને ઇજા થઇ હતી. હરેશભાઇનો બચાવ થયો હતો.

સોનીબેન, મીનાબેન અને કાંતાબેનને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ સોનીબેને દમ તોડી દીધો હતો. તેમને સંતાનમાં બે પુત્ર છે. પતિ ઘણા વર્ષો પહેલા ઘરેથી નીકળી ગયા હોઇ તેનો પતો નથી. પુત્રો ડ્રાઇવીંગ સહિતનું છુટક કામ કરે છે. બનાવથી પરિવામાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના પી.એન. ત્રિવેદી અને દિપસિંહ ચોૈહાણે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

(10:11 am IST)