જિલ્લા કક્ષાએ ગ્રાહક અદાલતોની સંખ્યા વધારો : યશવંત જનાણી
જીવનશાળા આંબરડીમાં ગ્રાહક સુરક્ષા તાલીમ શીબીર સંપન્ન
રાજકોટ તા. ૩ : રાજકોટ જિલ્લા ગ્રહક સુરક્ષા મંડળના ઉપક્રમે દેશભરમાં ઉજવાતા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ર૦૧૮ અંતર્ગત જસદણ તાલુકામાં આંબરડી ગામે ગાંધીયન સંસ્થા જીવનશાળામાં ગ્રાહક સુરક્ષા તાલીમ શિબિરનું આયોજન થયું હતું. અધ્યક્ષ સ્થાનેથી બોલતા મંડળના પ્રમુખ યશવંતભાઇ જનાણીએ જણાવેલ કે દેશભરમાં ગ્રાહક જાગૃતિ અને સંગઠન માટે વિવિધ રાજયોમાં વ્યાપક પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે ગ્રાહકોને પોતાની સલામતીનો અહેસાસ થાય તે માટે થઇને ભારત સરકાર દ્વારા આ વર્ષની ઉજણવીનો સંકલ્પ (થીમ) 'ગ્રાહક અદાલતોમાં નિવારણ' રાખેલ છે. આ દિશામાં ૧૯૮૬ ના ગ્રાહક સુરક્ષા ધારા નીચે સ્થપાયેલ ત્રિસ્તરીય ગ્રાહક અદાલતોમાં કાયદાની જોગવાઇ પ્રમાણે ૯૦દિવસમાં ચુકાદા આપવા માટે પાલન થવું જોઇએ.
કારણ કે લાંબી મુદતો પડવાથી સામાન્ય ગ્રાહકોને ન્યાય મળતો નથી. જિલ્લા કક્ષાએ ગ્રાહક અદાલતોની સંખ્યા વધવી જોઇએ તથા પ્રતિમાસ લોકગ્રાહક અદાલતોનું આયોજન કરવું જોઇએ.
આ પ્રસંગે જીવનશાળાના મેનેજિંગ ટ્રસ્ટી ખોળાભાઇ બખીયા, ટ્રસ્ટી દિલીપભાઇ શુકલ દ્વારા દિપ પ્રાગટય કરી શિબિરને ખુલી મુકવામાં આવી હતી મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ ગ્રાહક અધિકારો અંગે વિસ્તૃત જાણકારી આપી શીબીરાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. હિંમતભાઇ લાબડીયાએ કાનુની માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ જયવંતભાઇ ચોવટિયા રસિકભાઇ સોલંકી દિલીપભાઇ કલોલા અને મુકેશભાઇ પારેખ હાજર રહ્યા હતા જયારે કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક પ્રવીણભાઇ વાટકીયાએ કયુંર્ હતું.
આ પહેલા શાળાના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી ગ્રાહક અધિકારોની જાણકારી અપાઇ હતી. દરેક વિદ્યાર્થીને પોતાના કુટુંબમાં અને ગામમાં ગ્રાહક જાગૃતિના વાહક બનવા માટે અને પોતાના કુટુંબને રાજય સરકાર અને ભારત સરકારે આપેલા ગ્રાહક અધિકારોના સુરક્ષા કવચ વિષે માહિતગાર કરવા અપીલ કરી હતી.(૬.૧૦)