ગુરૂકુલ દ્વારા ૧૪મીએ સર્વજ્ઞાતિય સમુહલગ્ન
ઢોલ ઢમક્યા ને વર કન્યાના હાથ મળ્યા, જાણે ઇશ્વર પાર્વતીના હાથ મળ્યા,જેમ દૂધમાં સાકર ભળી એમ વર-કન્યાની જોડી મળી... : ૫૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે : કન્યાઓને અઢળક કરીયાવર અપાશે : લગ્નોત્સવ સાથે રકતદાન શિબિર : સમારોહના અધ્યક્ષ તરીકે વસંતભાઇ લીંબાસિયા
રાજકોટ તા. ૨ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનને ૭૫ વર્ષ પૂર્ણ થતા તારીખ ૨૨ થી ૨૬ ડિસેમ્બર રાજકોટની મવડી ચોકડીથી અઢી કિલોમીટર દૂર મવડી - કણકોટ રોડ પર બનાવાયેલ સહજાનંદનગરમાં ભવ્ય અમૃત મહોત્સવ યોજાનાર છે. તે પૂર્વે સમાજ ઉપયોગી વિવિધ કાર્યક્રમો થશે . જેમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન તા.૧૪ ડિસેમ્બર, બુધવારે સવારે ૭ થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન સહજાનંદનગરમાં જ ઉજવાશે.
જન્મથી મરણ સુધીના વિવિધ પ્રસંગોને આપણે ત્યાં સંસ્કારો સાથે સાંકળી લેવાયા છે. ૧૬ સંસ્કાર આપણી પરંપરાનું આગવું અને વિલક્ષણ પાસુ છે. આ સંસ્કારમાં ‘વિવાહ સંસ્કાર'ને આપણી સંસ્કૃતિના જયોતિર્ધર એવા ઋષિમુનિઓએ ‘ધન્ય ગૃહસ્થાશ્રમ' કહી યશોગાન ગાયા છે. ચારે આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. કેમ કે સમગ્ર જીવ પ્રાણી માત્ર આ આશ્રમના સહારે જ જીવિત રહે છે.
આજકાલ સુખી સંપન્ન પરિવારો લગ્નવિધિ ખૂબ ધામધૂમથી કરતા હોય છે. મધ્યમ વર્ગીય પરિવારો પણ આ વિધિ સારી રીતે કરી શકે તેવા શુભ આશયથી સામાજિક સંસ્થાઓ અને દાનવીરો સમૂહ લગ્નના આયોજનો કરતા હોય છે. આવા સમૂહ લગ્નમાં ભાગ લેવાથી સમય અને સંપત્તિનો બચાવ થાય છે.
લગ્ન સમારોહના અધ્યક્ષ વૃંદાવન ડેરીવાળા શ્રી વસંતભાઈ લીંબાસીયાના જણાવ્યા મુજબ ‘શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાને છેલ્લા ૭૫ વર્ષથી શૈક્ષણિક, સામાજિક, અને આધ્યાત્મિક સેવાની સરવાણી વહાવી રહી છે. ૭૫ વર્ષ પૂર્ણ કરી જયારે ગુરૂકુલ સંસ્થા અમૃતકાળમાં પ્રવેશી રહી છે ત્યારે ‘અમૃત મહોત્સવ' યોજાનાર છે. આ મહોત્સવના સામાજિક સેવાના ભાગરૂપે ગુરૂકુલ દ્વારા તા. ૧૪ ડિસેમ્બરે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેના યજમાન ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાથીઓ યજમાન સુરતના મુકેશભાઈ મોતીસરીયા, હૈદરાબાદના શ્રી શિવલાલભાઈ પટેલ આર્થિક સેવા સહયોગ આપી રહ્યા છે.
શ્રી પ્રભુ સ્વામીના કહ્યા અનુસાર આ પ્રસંગે ૫૧ નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. જેમાં કન્યાઓને શુકનની વસ્તુઓ ઉપરાંત કબાટ, બેડ, ગાદલા, વાસણો વગેરેની ભેટ અપાશે. નવયુગલોને ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રીધર્મવલ્લભદાસજી સ્વામી તેમનું ગૃહસ્થ જીવન ખૂબ જ આત્મીયતાભર્યું પસાર થાય એવા શુભ આશિષ પાઠવશે. આયોજનને સફળ કરવા ગુરુકુલના અગ્રગણ્ય હરિભક્તો વસંતભાઈ લીંબાસીયા, છગનભાઈ પાંભર, ભરતભાઈ કાથરોટીયા, વિજયભાઈ પનારા, લાલજીભાઈ તોરીવાળા, ભગવાનભાઈ કાકડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સાથે વાપરવા છતાં ન ખૂટે, જે સંપત્તિ માણસને ઈશ્વરે મફતમાં આપેલી છે તેવા અમૂલ્ય દાનરૂપ રક્તદાન કેમ્પનું આયોજન સમૂહલગ્ન સાથે યોજાશે.