રાજકોટ
News of Monday, 2nd December 2019

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૩ થી ૯ ડિસેમ્બર સુધીની આગાહી

બુધથી શુક્ર દરમિયાન એક - બે દિવસ માવઠાની સંભાવના : કાલથી વાદળો છવાશે : ઠંડી ઘટશે

અરબી સમુદ્રમાં બે-બે લોપ્રેશર : એક સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર - કચ્છને અસરકર્તા રહેશે : તા.૪ - ૫ના ભેજનું પ્રમાણ વધશે : દિવસમાં ૧૫ થી ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે : તા.૭એ ફરી ઠંડીમાં વધારો થશે

રાજકોટ, તા. ૨ : ઠંડીએ હજુ જોર પકડ્યુ નથી ત્યાં ફરી માવઠાની શકયતા જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં બે-બે લોપ્રેશર ઉદ્દભવી રહ્યા છે. જેમાંનું એક લોપ્રેશર સૌરાષ્ટ્ર - કચ્છને અસર કરી રહ્યા હોય આગામી બુધ થી શુક્રવાર દરમિયાન એક - બે દિવસ માવઠાની સંભાવના છે. સિસ્ટમ્સની અસરરૃપે આવતીકાલથી વાદળો છવાવા લાગશે અને ઠંડીમાં પણ ઘટાડો થશે. દિવસ દરમિયાન ૧૫ થી ૨૦ કિ.મી. તો કયારેક ૨૫ કિ.મી.ની ઝડપે પણ પવન ફૂંકાશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે ગત આપેલી આગાહી મુજબ ન્યુનતમ તાપમાન ઘટીને નોર્મલ તરફ આવી જશે. તે અનુસંધાને સૌરાષ્ટ્ર - કચ્છમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો થયો છે. રાજકોટ ૧૫ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ), ન્યુ કંડલા ૧૬ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ), દ્વારકા ૧૮.૮ ડિગ્રી (નોર્મલ), કંડલા એરપોર્ટ ૧૪.૩ અને ભુજમાં ૧૪ ડિગ્રી નોંધાયેલ છે. તેઓએ જણાવેલ કે એક વેલમાર્ક લોપ્રેશર દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં છે જે ૧૨ થી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ પણ મજબૂત થવાની શકયતા છે. આ સિસ્ટમ્સ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને તે આવતા ત્રણ દિવસ સોમાલીયા કોસ્ટ તરફ જશે.

જયારે બીજુ એક લોપ્રેશર દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છે અને તે આવતા ૨૪ કલાકમાં વેલમાર્કમાં પરિવર્તિત થશે. આ લોપ્રેશર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. હાલમાં દક્ષિણ કેરાલાથી આ બીજુ લોપ્રેશર ૫૦૦ કિ.મી. પશ્ચિમે છે.

અશોકભાઈ પટેલે તા.૩ થી ૯ ડિસેમ્બર (મંગળથી મંગળ) દરમિયાન આગાહી કરતા જણાવેલ કે આગાહીના સમયગાળામાં તા.૩ થી ૬ વાદળોનું પ્રમાણ વધશે. તા.૭ થી ૯ ઓછુ થઇ જશે. તા.૩ થી ૬ દિવસ દરમિયાન પવન ૧૫ થી ૨૦ કિ.મી. તો કયારેક ૨૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશે. હાલમાં શિયાળુ પવન છે પરંતુ આવતીકાલથી પૂર્વ દિશામાંથી પવન ફૂંકાશે. તા.૪ થી ૬ દરમિયાન પવનની દિશા ફર્યે રાખશે. તા.૪ થી ૫ દરમિયાન નિચલા અને ઉપલા લેવલે ભેજનું પ્રમાણ વધશે અને તા.૬ થી ૯ દરમિયાન સવારના ભાગમાં વાતાવરણ ફરી સૂ કુ બની જશે. તા.૩ થી ૬ દરમિયાન વાદળા છવાશે. જેથી ઠંડીમાં ઘટાડો જોવા મળશે. ન્યુનતમ તાપમાન ફરી ઉંચકાશે. તા.૭ થી ૯ ઘટવા લાગશે.

સૌરાષ્ટ્ર - કચ્છમાં તા.૪-૫-૬ ડિસેમ્બર (બુધ-ગુરૃ-શુક્ર) ના મુખ્યત્વે તા.૪-૫ (બુધ-ગુરૃ) દરમિયાન એકાદ દિવસ છૂટાછવાયા સ્થળોએ ઝાપટા હળવો વરસાદ થશે. હાલમાં ગુજરાતમાં માવઠાની શકયતા ઓછી જણાય છે. સિસ્ટમ્સ આધારીત વરસાદ હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

(2:54 pm IST)