અંતે મ.ન.પામાં નવા આરોગ્ય અધિકારીની નિમણુંક : વિસાવદરના ડો.વાંઝા આવતા સપ્તાહે ચાર્જ લેશે
ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.રીંકલ વિરડીયા એકા એક રજા પર ઉતરી જતા ચાર માસ માટે ડો.વાંઝા ડેપ્યુટશન પર મૂકાયા
રાજકોટ,તા.૧: મ્યુ. કોર્પોરેશનના અગાઉના આરોગ્ય અધિકારી ડો. રીંકલ વીરડીયા કોરોના મહામારી સમયે એકા એક રજા ઉપર ઉત્તરી જતા આરોગ્ય તંત્ર મુશ્કેલીમાં મુકાયેલ. આથી તાબળતોબ વિસાવદર તાલુકા હેલ્થ ઓફીસર ડો. એલ.ટી. વાંઝાને ચાર માસ સુધી લોન સર્વીસ પર રાજય સરકારે મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી તરીકે નિમણુંક કરી છે. ડો.વાંઝા આવતા સપ્તાહે એટલે કે સોમવારે-મંગળવારે ચાર્જ સંભાળે તેવી શકયતા દર્શાય રહી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજય સરકાર દ્વારા વિસાવદર હેલ્થ ઓફીસર તરીકે છેલ્લા ૧૦ વર્ષથી ફરજ બજાવતા અને મુળ કોડીનારના વતની એવા ડો. એલ.ટી. વાંઝાની રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની તરીકેની નિમણુંક કરવામાં આવી છે. તેઓ જુનાગઢ કોર્પોરેશનમાં ૪ વર્ષ સુધી આરોગ્ય અધિકારી તરીકે રહી ચુકયા છે. આમ તેઓ બહોળો અનુભવ ધરાવે છે અને રાજકોટમાં તેઓએ સોમવાર-મંગળવારનાં ચાર્જ સંભાળી લ્યે તેવી શકયતા છે.
આ અંગે ડો.એલ.ટી.વાંઝાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રાજકોટની સેવાનો મોકો મળ્યો છે. શહેરમાં કોરોના કેસોમાં વધારો ન થાય અને ડેથ રેટ ઘટાડવાનાં પુરા પ્રયત્નો કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, આવતા સપ્તાહે મ્યુ.કોર્પોરેશનમાં પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ આરોગ્ય વિભાગનાં અધિકારીઓ, કર્મચારી સાથે મિટિંગ યોજશે. જેમાં કોરોનાની માહમારી નાથવાનું આયોજન કરવામાં આવશે.(૨૮.૨)