રાજકોટ
News of Saturday, 1st August 2020

પડોશી પાસે તાળુ ઉછીનું માંગી ડૂપ્લીકેટ ચાવી બનાવડાવી, પછી એક લાખની મત્તા ચોરી!

રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં બનાવ : પ્ર.નગર પોલીસ સુધી વાત પહોંચતા પીઆઇ એલ.એલ. ચાવડા અને ટીમે ભેદ ઉકેલ્યોઃ આરોપી હાથવેંતમાં

રાજકોટ તા. ૧: રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાનના બંધ મકાનનું તાળુ ડૂપ્લીકેટ ચાવીથી ખોલી એક લાખની ચોરી કરવામાં આવતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીને શોધી કાઢી વિશેષ તપાસ હાથ ધરી છે. પડોશીએ જ થોડા દિવસો પહેલા ઉછીનું તાળુ માંગી તેની ડૂપ્લીકેટ ચાવી બનાવડાવી લીધી હતી અને બાદમાં તેનાથી તાળુ ખોલી ચોરી કરી હોવાનું ખુલ્યું છે.

આ બનાવમાં પોલીસે રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપ બ્લોક નં. બી-૭૦૧માં રહેતાં અને કર્મકાંડનું કામ કરી ગુજરાન ચલાવતાં પારસભાઇ પ્રવિણભાઇ જોષીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

પારસભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ફલેટના દરવાજાનું તાળુ કોઇ ડુપ્લીકેટ ચાવીથી ખોલી ઘરમાં પ્રવેશી લોખંડના કબાટની તિજોરીમાંથી રૂ. ૩૧ હજાર રોકડા તથાસોનાની કરકરીયા ડિઝાઇનનો ચેઇન, ડોકીયુ મળી કુલ રૂ. ૧,૦૩,૦૦૦ની ચોરી કરી ગયું છે. ગઇકાલે સવારે સાતેક વાગ્યે પારસભાઇ ઘરને તાળુ મારી કર્મકાંડ માટે ગયા હતાં. તેના પત્નિ ગાયત્રીબેન અને બે સંતાનો સુરેન્દ્રનગર સગાઇ પ્રસંગમાં ગયા હતાં.

બપોરે પારસભાઇ ઘરે આવ્યા અને તાળુ ખોલી અંદર ગયા બાદ ફ્રેશ થઇ મંદિરવાળા રૂમમાં ગયા ત્યારે કબાટ ખુલ્લી હાલતમાં જોવા મળતાં અને સામાન વેરવિખેર દેખાતાં તપાસ કરતાં તિજોરીમાંથી પર્સ ગાયબ જણાયું હતું. જેમાં રોકડા ૩૧ હજાર અને સોનાનો ચેઇન તથા ડોકીયુ હતું. શોધખોળ કરવા છતાં પર્સ ન મળતાં પોલીસને જાણ કરી હતી. કોઇએ ડૂપ્લીકેટ ચાવીથી દરવાજાનું તાળુે ખોલી હાથફેરો કર્યાની શંકા સાથે ફરિયાદ નોંધાવતાં એએસઆઇ કનુભાઇ વી. માલવીયાએ ગુનો નોંધવા તજવીજ કરી હતી.

પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ અને સંજયભાઇ દવે તથા ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરતાં ભેદ ઉકેલાઇ ગયો હતો. આ ચોરી પડોશીએ જ કરી હોવાની પ્રાથમિક વિગતો મળતાં તેની પુછતાછ શરૂ કરાઇ છે. થોડા સમય પહેલા પારસભાઇના ઘરનું તાળુ પડોશી મહિલા ઉછીનું લઇ ગઇ હતી. પોતાનું તાળુ ખરાબ હોવાનું કહી પારસભાઇનું તાળુ મેળવી તેની ડૂપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી.

એ પછી પારસભાઇ અને તેના ઘરના બહાર ગયા ત્યારે ડૂપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી પાંચેક હજાર ચોરી લીધા હતાં. એ વખતે પારસભાઇએ ફરિયાદ કરી નહોતી. પણ આ વખતે એકાદ લાખની મત્તા ગાયબ થઇ જતાં ફરિયાદ કરી હતી. આરોપીની વિધીસર અટકાયતા બાદ વધુ વિગતો બહાર આવશે.

(1:01 pm IST)