ડે.મેયર અશ્વિન મોલિયાની તબિયત ટનાટન : આજે રજા અપાશે
ગઇકાલે ઓફીસમાં સામાન્ય આંચકી જેવુ આવતાં હોસ્પીટલમાં દાખલ કરાયેલ : સીનર્જી હોસ્પીટલનાં ડો. કલ્પેશ સનાવિયાની દેખરેખ હેઠળ ધનિષ્ઠ સારવાર અપાયા બાદ તબીયત સતત સુધારામાં
રાજકોટ,તા.૧ : અહીંના ડે.મેયર અશ્વિનભાઇ મોલીયાની તબીયત ગઇકાલે બપોરે લથડી હતી. આથી તેઓને તાબળતોબ સીનર્જી હોસ્પીટલમાં દાખલ કરાયેલ જ્યાં તેઓની ધનિષ્ઠ સારવાર બાદ તબીયત સુધારામાં હોઇ આજે તેઓને રજા આપવામાં આવી
આ અંગેની વિગત મુજબ ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા ગઇકાલે તેઓની મ્યુ. કોર્પોરેશન ખાતેની ચેમ્બરમાં હતાં. ત્યારે બપોરે ૨ વાગ્યા આસપાસ અશ્વિનભાઇની તબીયત એકાએક લથડી હતી. અને ચક્કર ખાઇ પડી ગયા હતાં. આથી કચેરીમાંજ હાજર સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, પી.એ. હસમુખ વ્યાસ વગેરેએ તાત્કાલીક ડે. મેયરને સિનર્જી હોસ્પીટલે લઇ ગયા હતા. જ્યાં તેઓને દાખલ કરી. હોસ્પીટલનાં ડો. કલ્પેશ સનાવીયાની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરી દેવાતા થોડીજ વારમાં ડે. મેયર સ્વસ્થ થઇ ગયેલ ત્યારબાદ સાંજે તેઓના એમ.આર.આઇ. રીપોર્ટ કરાવેલ જે નોર્મલ આવ્યા હતા. દરમિયાન આજે હોસ્પીટલનાં ડો. કલ્પેશ સનાવિયાએ 'અકિલા'ને જણાવ્યા મુજબ અશ્વિનભાઇનાં રિપોર્ટ નોર્મલ આવ્યા છે. તેઓને સામાન્ય આંચકી જેવું આવ્યું હતું. હવે તેઓની તબિયત એકદમ સુધારા ઉપર છે તેથી આજે તેઓને ડીસ્ચાર્જ આપી દેવાશે.