પત્નિ ઉપર શંકાકુશંકા કરી છરી વતે હુમલો કરવાના કેસમાં પતિને શંકાનો લાભ આપતી કોર્ટ
રાજકોટ,તા. ૨ : પતિએ શંકાકુશંકા કરી પત્નીને મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરવાનાં કેસમાં આરોપી પતિને શંકાનો લાભ આપી છોડી મુકવાનો રાજકોટ સેશન્સ એન્ડ ડીસ્ટ્રીક કોર્ટ હુકમ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ અકિલાબેન યુનુસભાઇએ તેમના પતિ યુનુશભાઇ રફીકભાઇ વિરૂધ્ધ શંકાકુશંકા કરી જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરી પેટના ભાગે બે છરીના ઘા મારેલ જે અંગેની ફરીયાદી પ્રનગર પો.સ્ટે.માં ફરીયાદ દાખલ કરેલ હતી.
ફરીયાદ મુજબ અકિલાબેન સાંજે સાત વાગ્યે બીજા ઘરના કામ કરી તેમના ઘરે ગયેલ ત્યારે પતિ યુનુસભાઇ ઘરે હાજર હોય યુનુસભાઇ એ અકિલાબેનને કામ કરવામાં આટલુ મોડું કેમ થયું તેમ કહી ગાળો આપી મારકૂટ કરવા ગયેલ અને યુનુસભાઇએ પહેરેલ પેન્ટના નેફામાંથી છરી કાઢી અકિલાબેનને એક ઘા પેટનાં ઉપરના ભાગે અને બીજો ઘા પેડુના ભાગે ડાબી બાજુએ મારી દીધેલ.
આ અંગેની ફરીયાદ પ્રનગર પો.સ્ટે.માં અકિલાબેનએ લખાવેલ હતી ફરીયાદ બાદ પોલીસે આરોપી યુનુસભાઇની અટક કરી તેમની વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ હતું અને આ કામે તમામ લેખીત તેમજ મૌખીક પુરાવાનાં અંતે નામદાર કોર્ટે આરોપીનાં એડવોકેટ દેવાંગ એ. ત્રિવેદીની દલીલો ધ્યાને લઇ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપી તરફે એડવોકેટ દેવાંગ અનંતરાય ત્રિવેદી રોકાયેલ હતા.