રાજકોટની વધુ ૨ સૂચિત સોસાયટીની દરખાસ્ત થશે
આજ સુધીમાં ૧૮૫ દરખાસ્ત મોકલાઇ : ૧૬૭ મંજૂર થઇ : વધુ બે દક્ષિણથી મોકલાશે : કોમન પ્લોટના વિવાદવાળી કુલ ૧૦ સોસાયટી અંગે સુનાવણી પૂરી : રાજકોટમાંથી કોઇ વાંધાઓ નથીનો રીપોર્ટ મોકલાયો
રાજકોટ તા. ૨ : સરકારની સૂચિત સોસાયટીના મીલકત ધારકોને કાયદેસરતા આપવાની યોજનામાં વધુ ૨ સોસાયટીને સૂચિત ગણી તે અંગેની દરખાસ્ત રાજકોટ કલેકટર દ્વારા સરકારમાં મોકલવા અંગે નિર્ણય લેવાયો છે, આ ફાઇલો કલેકટરની સહીમાં પડી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
સાધનોએ જણાવેલ કે, આ ૨ સોસાયટી દક્ષિણ મામલતદાર વિસ્તારની ન્યુ ગોપવંદના અને શ્યામ પાર્ક-૨નો સમાવેશ થાય છે, કલેકટર તંત્રે આજ સુધીમાં ૧૮૫ દરખાસ્તો મોકલી છે, તેમાંથી ૧૬૭ મંજુર થઇ છે.
દરમિયાન કોમન પ્લોટનો વિવાદવાળી રાજકોટની ૧૦ સૂચિત સોસાયટી અંગે ગાંધીનગર ખાતે સુનાવણી પૂરી થઇ ગઇ છે, રાજકોટ કલેકટર તંત્રે પણ આ ૧૦ સોસાયટી અંગે આજ સુધી કોઇના વાંધા - વિવાદ નહિ આવ્યાનો રિપોર્ટ મોકલી દીધો છે.
આ કોમન પ્લોટ વિવાદવાળી ૧૦ સોસાયટીમાં દક્ષિણ મામતલદાર વિસ્તારની સરદાર પટેલ, વિક્રાંતિ, વિશ્રાંતિ, કિરણ, ન્યુ સુભાષનગર, રાજલક્ષ્મી, નંદિની, માધવ પાર્ક તથા પશ્ચિમ મામલતદાર વિસ્તારની ન્યુ યોગીનગર, રૂષીકેશ અને રૂષીકેશ પેરેમાઉન્ટનો સમાવેશ થાય છે.