ભૂખ્યાને ટુકડો... તો હરી આવે ઢુકડો...
અન્નદાન સાથે શ્રમદાન કરી આત્મસંતોષ મેળવતા રાજકોટના યુવાનો
રાજકોટઃ. કોરોનાના સંકટ સમયે સરકારશ્રીના આદેશ મુજબ થયેલા લોકડાઉન બાદ વૃદ્ધ, અશકતો, નિરાધાર અને શ્રમિકો રોજ કઈ રીતે જઠરાગ્ની ઠારશે ? આ એક જ સવાલના મનોમંથન બાદ એકઠા થયેલા આ યુવાનોએ પોતાની ઘરે નાના પાયે રસોઈની શરૂઆત કરી ચાર જ દિવસમાં સંપર્ક સૂત્રોથી સર્વે કરી ૩૦૦ જેટલા પરિવાર ગોતી કાઢયા જેમને ભોજનની આવશ્યકતા હતી.
કેટરીંગ વ્યવસાય સાથે સંકળાયેલા હિતેષ પારેખ તથા મનીષાબેન પારેખ દ્વારા રસોઈની શરૂઆત કરાઈ તેમને જલારામ હોસ્પીટલ, અન્નપૂર્ણા ગ્રુપ, ગુરૂદ્વારા રાજકોટનો સહયોગ મળ્યો. જરૂરીયાતમંદની સંખ્યા વધતા લોકો સુધી ભોજન પહોંચાડવા શ્રમદાન ખૂબ જ મહત્વનુ હતુ. જેમા રાજકોટના યુવા કલાકાર અને પત્રકાર તેજસ શિશાંગીયાએ સ્કૂટર પર ૫૦ જેટલા ફુડપેકેટ પહોંચાડવાનું શરૂ કર્યુ.
ટૂંકા સમયમાં ટીમનું નિર્માણ થયુ જેમા સોનલ શીપાળીયા, રત્નેશ ઝાલા, અલ્પેશ સાંચેલા, ઉમંગ સાંચેલા, સુનિલભાઈ પટેલ, અલ્કેશ જેઠવા, સની આહીર, ઈમરાન કાનીયા, આતીફ ખ્યાર જેવા યુવાનો હોશભેર કોઈ સ્વાર્થ વિના પરમાર્થ કાર્યમા જોડાયા છે.
સંસ્થા - બેનર કે જાહેરાત વિના આ યુવાનો અન્નદાન અને શ્રમદાન કરી રહ્યા છે અને માનવતા મહેકાવી રહ્યા છે (તસ્વીરઃ અશોક બગથરીયા)