ગોકુલધામ ત્રણ માળીયામાં વિજયએ દાઢની દવા માંગતા પત્નિએ બીજી દવા પાઇ દીધી!
વિજયએ ચાર વર્ષ પહેલા શિતલ સાથે બીજુ ઘર કર્યુ'તું: શિતલના પણ બીજા લગ્નઃ દવા પીવડાવી પુત્રીને લઇ ભાગી ગઇઃ બીજા કોઇ સાથે લફરૂ હોવાનો આક્ષેપ
રાજકોટ તા. ૨: ગોકુલધામ ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતાં વિજયભાઇ બાલકદાસ દાણીધારીયા (ઉ.વ.૩૮)ને તેની પત્નિ શિતલે એક ગંભીર પ્રકારના રોગની દવા પાણીમાં ઓગાળીને પીવડાવી દેતાં તેને ઉલ્ટીઓ થવા માંડતા અને તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. વિજયભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને ડ્રાઇવીંગ કરે છે. તેના સગાના કહેવા મુજબ વિજયભાઇને આગલા ઘરનો એક પુત્ર છે. તેણે ચારેક વર્ષ પહેલા શિતલ નામની યુવતિ સાથે બીજુ ઘર કર્યુ હતું. તેણીના પણ આ બીજા લગ્ન હતાં અને તેણીને આગલા ઘરની એક પુત્રી છે.
સાંજે વિજયભાઇને દાઢનો દુઃખાવો ઉપડતાં પત્નિ પાસે દવા માંગતા તેણીએ દાઢની દવાને બદલે વિજયભાઇની બીજા ગંભીર રોગની દવા ચાલુ હોઇ તે વધુ પડતી પાણીમાં ઓગાળીને પાઇ દેતાં તેની તબિયત બગડી હતી. એ પછી તેણી ઘરેથી નીકળી ગઇ હતી. તેને બીજા કોઇ સાથે લફરૂ હોવાથી આમ કર્યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.