ત્રણ બહેનના એક જ ભાઇનો ફાંસો ખાઇ આપઘાતઃ માતાનો ઠપકો આકરો લાગ્યો
કામે જવા બાબતે ઠપકો અપાયો હતોઃ સંત કબીર રોડ ગોકુલનગરમાં ૨૧ વર્ષના વાસુના પગલાથી વિધવા માતા-બહેનો શોકમાં ગરક
રાજકોટ તા. ૧: સામા કાંઠે સંત કબીર રોડ પર ગોકુલનગર-૩માં રહેતાં વાસુ ભુપતભાઇ રાણગા (ઉ.વ.૨૧) નામના ભરવાડ યુવાને નળીયાની આડીમાં કપડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તે ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને વિધવા માતાનો આધારસ્તંભ હતો.
વાસુએ ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. હેડકોન્સ. ભુપતભાઇ વાસાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનના કહેવા મુજબ વાસુ ત્રણ બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. તેના પિતા ભૂપતભાઇ હયાત નથી. ત્રણ વર્ષ પહેલા તેમનું તાવને કારણે મૃત્યુ થયું હતું. વાસુ યાર્ડમાં મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. હાલમાં બે ત્રણ દિવસથી નિયમીત કામે જતો ન હોઇ માતાએ તેને કામે જવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જવાથી આ પગલુ ભર્યુ હતું.