૧૪મીએ રૂડાની બોર્ડ બેઠકઃ સરકારે હવે ૪૦ ટકા કપાત-પ્લાન મંજૂરી અંગે BUP અંગે STP ને સતા આપવાનું ફાઇનલ કર્યું: ટુંકમાં ઓર્ડર
બોર્ડ બેઠકમાં બીજો રીંગ રોડ-એઇમ્સ-આવાસ માટેના ફોર્મ-૩૮ ગામોમાં પાણી માટે ટેન્ડર સહિતના વિકાસકામો મંજુર થશે
રાજકોટ તા. ૧: આગામી ૧૪મી ઓકટોબરે રૂડાની મહત્વની બોર્ડ બેઠક મળી રહી છે, બીજી બાજુ રાજય સરકાર એક મહત્વનો નિર્ણય કરવા જઇ રહી છે. શહેરી વિકાસ વિભાગ હવે ચેરમેન-સીઇઓ પાસે માત્ર એડમીનીસ્ટ્રેટીવનું જ કામ કરાવશે, કારણ કે આ જગ્યા ઉપર મોટે ભાગે સનદી અધીકારીઓ હોય છે, અને ટેકનીકલ બાબતોથી અજાણ હોય, અનેક મુશ્કેલીઓ સર્જાય છે, એટલું જ નહીં એક-એક મહિનો ફાઇલો પડી રહી છે.
આથી હવે, બીલ્ડીંગો-ગામડાઓમાં ૪૦ ટકા કપાત, પ્લાન મંજૂરી, બીયુપી વિગેરે કામગીરી માટે સીધી એસટીપી એટલે કે સિનિયર ટાઉન પ્લાનરને સતા આપતો સરકારે નિર્ણય લીધો છે, આ અંગેની ફાઇલ સી.એમ. સુધી પહોંચી છે, અને મંજૂરી મળ્યે ટુંકમાં પરિપત્ર બહાર પડી જશે. દરમિયાન આગામી ૧૪મીએ મળનાર રૂડાની બોર્ડ બેઠકમાં અનેક વિકાસ કામોને મંજૂરી અપાશે.
જેમાં બીજો રીંગ રોડ, કે જે ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધી લંબાય છે, તે માટે જમીનનો કબજો લેતો ઠરાવ, માલીયાસણથી પરાપીપળીયા સુધી રીંગ રોડ કાઢવો, જેથી આવી રહેલ એઇમ્સ હોસ્પીટલ માટેના વાહન વ્યવહારને સરળતા રહે.
આ ઉપરાંત જે ૧પ૬૧ આવાસના કામ ચાલુ થવાના છે, તેના ફોર્મ બહાર પાડવાની તારીખ નકકી થશે, તો રૂડાના હાલ બાવન ગામમાંથી ૧૪ ગામમાં પીવાના પાણી મળે છે, બાકીના ૩૮ ગામો માટે પીવાના પાણીના ટેન્ડરો અંગે નિર્ણય લેવાશે.
રૂડાના અધીકારી સુત્રોના જણાવ્યા મુજબ સેકન્ડ રીંગ રોડ માટેના ફોરલેન્ડ કરવાની ટેન્ડર અંગે તથા અન્ય ઠરાવો થશે.
રૂડાના બે અધીકારીઓ કાલરીયા, બી.એ. મારૂ નિવૃત થયા છે, ચીફ એન્જીનીયર તરીકે પા. પુ.માંથી નિમણુંક થઇ અને તેઓએ ચાર્જ સંભાળી લીધો છે.