ર૦૧ આશ્રમ શાળા-છાત્રાલયો બારોબાર વેચી માર્યા
રદ કરવાપાત્ર આશ્રમ શાળા-છાત્રાલયોને કરોડો રૂપિયાની ગ્રાન્ટઃ વિકસીત જાતિ કલ્યાણ વિભાગમાં પોલંપોલ
રાજકોટ :.. રાજયના વિકસીત જાતિ કલ્યાણ વિભાગમાં વર્ષોથી અંડિગો જમવાને બેઠેલાં અધિકારીઓએ ભરપૂર ભ્રષ્ટાચાર આદર્યો હોવાની ફરીયાદો છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે. રાજયની નબળી અને રદ થવા પાત્ર ર૦૧ આશ્રમ શાળા અને છાત્રાલયોને સ્થળફેરના નામે બારોબાર વેંચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે આ પ્રકરણની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગ સાથે મુખ્યમંત્રીને ફરીયાદ કરી હોવાનું પ્રસિધ્ધ થયું છે.બક્ષીપંચની આશ્રમશાળા અને છાત્રાલયોમાં કેટલીય વાર ગેરરીતિઓ પકડાઇ છે પણ આજદીન સુધી એકેય અધિકારી કે સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી થઇ નથી. રાજયમાં ઘણી આશ્રમ શાળા-છાત્રાલયને તાળા વાગે તેમ છે પણ સ્થળફેર કરી દેવાય છે જેથી જમીનોના દલાલો ટાઇટલ આપી દે છે. સ્થળ ફેરનો ગાંધીનગરથી હુકમ થતા જ સંસ્થાના ટ્રસ્ટીઓ પણ બદલાઇ જાય છે. જે ગ્રાન્ટ જમા થાય તેના વહીવટદારો ય બદલાઇ જાય છે. આમ ખૂબ જ સિફતપૂર્વક રીતે સંસ્થાનું વેચાણ થઇ જાય છે. આ જ રીતે આશ્રમ શાળા-છાત્રાલયોનું વેચાણ થયું છે.
ઉંઝાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને એવી ફરીયાદ કરી છે કે, વર્ષ ૧૯૯૯-ર૦૦૦ પછી સરકારે આશ્રમ શાળા માટે બજેટમાં જોગવાઇ જ કરી નથી. રાજય સરકાર હવે એકેય નવી આશ્રમ શાળા શરૂ કરવા માંગતી નથી. ત્યારે સ્થળ ફેરના નામે ર૩ આશ્રમ શાળાઓ વેચી દેવાઇ છે. ટ્રસ્ટીઓ બદલાઇ ગયા છે. અને ગ્રાન્ટ જમા થાય છે. તે બેન્કના ખાતા ય બદલાઇ ગયા છે. ખરેખર તો આવી સંસ્થાઓને રદ કરવી જોઇએ પણ ગ્રાન્ટો ચુકવીને સરકારી તિજોરીને નુકશાન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પાટણના ધારાસભ્યએ પણ આ જ મુદ્્ે મુખ્યમંત્રીને ફરીયાદ કરી હતી પણ આજદીન સુધી વિકસીત જાતિ કલ્યાણ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઇ પગલાં લેવાયા નથી.