સતાધાર પાર્કમાં ચનાભાઇ મીયાત્રાના મકાનમાં ૧.૩૦ લાખના દાગીનાની ચોરી
જન્માષ્ટમીના તહેવાર નિમિતે જામનગરના તમાચણ ગામે ગયાને પાછળથી તસ્કરો ત્રાટકયા
રાજકોટ તા.૧: નાણાવટી ચોક પાસે સતાધાર પાર્કમાં રહેતા આહિર યુવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૧.૩૦ લાખના દાગીના ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે સતાધાર પાર્ક શેરી નં. રમાં રહેતા ચનાભાઇ ઉર્ફે ભાવેશભાઇ નારણભાઇ મીયાત્રા (ઉ.વ.૨૪) જન્માષ્ટમીના તહેવાર નિમિતે અને મકાનનું કામ હોવાથી ગત તા. ૩૦/૮ ના રોજ જામનગરના તમાચણ ગામે ગયા હતા. ત્યારે પાછળથી તસ્કરોએ તેના મકાનનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલ રૂ. ૧.૩૦ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. બીજા દિવસે દુધવાળાભાઇ દૂધ આપવા માટે આવ્યા ત્યારે દરવાજાાનો નકુચો તુટેલો અને દરવાજો થોડો ખુલ્લો જોતા તેણે તાકીદે ચનાભાઇને ચોરી થઇ હોવાની જાણ કરી હતી. બાદ ચનાભાઇ ઉર્ફે ભાવેશભાઇ રાજકોટ આવ્યા બાદ તેણે યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ એન.બી. ડાંગરે તેની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૧.૨૬)