રાજકોટ
News of Saturday, 1st August 2020

ઇદુલ અઝહાઃ કોમી એખલાસ અને ત્યાગની ભાવના શીખવતું પર્વ

જીક્રસે, ફિક્રસે, ઇબાદતસે, નેક હને કો ઇદ કહતે હૈ, અદાવત નિકાલ દો દિલસે, એક હોને કો ઇદ કહતે હૈ

રાજકોટ : આરબોના જંગલિયાતભર્યા ઉત્સવોને લોહિયાળ બનતા અટકાવી, પયંગબરે ઇસ્લામે એના બદલે ઇદુલ ફીતર (રમઝાન ઇદ), ઇદુલ અઝહા (કુરબાન ઇદ) જેવા પવિત્ર તહેવારોનું નવલું નઝરાણું માનવ સમાજને ભેટ ધર્યું, જેમાં શાંતિ, સલામતિ, સમર્પણ, ભાઇચારો, કોમીએકતા, પ્રેમભાવ જેવા ઉમદા ગુણો કેળવવા ઇદની ઉજવણીના ઉત્સવને આધારશિલા બનાવી સમાજ સુધારણાનું બેનમૂન ઉદાહરણ પુરૂ પાડયું.

હિજરી સંવતના જિલ્હજ માસની દસમી તારીખ દરમ્યાન ઉજવાતો મુસ્લિમોનો વાર્ષિક ઉત્સવ ઇદુલ અઝહા અથવા કુરબાન ઇદ તરીકે ઉજવવામાં આવે છે. મુસ્લિમોનો આ તહેવાર ત્યાગ, બલિદાન, આત્મસમર્પણનો તહેવાર છે. ઇદુલ અઝહા ઇસ્લામના મહાન પયંગમ્બર હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સાલામે આપેલ મહાન કુરબાનીની યાદમાં ઉજવવામાં આવે છે.

બાળક જન્મે છે તો તેમના માતા-પિતા જીંદગીની કુમળી વયથી તેના માટે અનેક કુરબાની આપી ઉછેરે છે. બાળ અવસ્થામાં તેને શિક્ષણ આપવું, તેની જીંદગીના ધ્યેય પ્રત્યે કાળજી રાખવીએ પણ એક કુરબાની છે. એજ વ્યકિત પોતાની યુવા અવસ્થામાં પોતાની બુદ્ધિથી જ્ઞાન, આચારવિચાર, સ્વભાવ કેળવવા તે માટેની કુરબાની છે વ્યકિત વધુ શકિતમાન થાય તો તે પોતાના અંગત જીવનમાં પોતાની ફેમીલી માટે જે કામ પુરૂ કર તે ખરેખરી એક કુરબાની છે. તેનાથી આગળ વધી પોતાના સહકુટુંબી ભાઇઓને તેમના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય તે મહાન કુરબાની છે. ખુદા પાક તેને વિશેષ સદબુદ્ધિ આપે અને પોતાના સમાજની દરેક રીતે કાળજી રાખે, શિક્ષણ ક્ષેત્રે, વસાહત ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે સહભાવી બને તે મહાનમાં મહાન કુરબાની છે. સમગ્ર રીતે આખી આલમ પરસ્પર ત્યાગ ભાવના કેળવી 'જીવો અને જીવવા દો'ના સિદ્ધાંતને સક્રિય બનાવે તો કુરબાનીનો અવસર ખરા અર્થમાં સાર્થક થાય. આજે જરૂરત છે કોમી એખલાસ અને ભાઇચારા માટે કુરબાની આપે, જરૂરીયાતમંદ ભાઇઓના પ્રશ્નો ઉકેલવામાં કુરબાની આપે, પોતાના દેશ માટે જે દેશમાં રહેતા હો તે દેશને વફાદાર રહેવું ઇમાનનો એક ભાગ છે. દરેક પળે કુરબાની માટે હંમેશા તૈયાર રહે એ જ જીંદગી સુખી રીતે જીવવાની દોરી છે. આજે ઇદની ખુશીના પ્રસંગે સૌએ મક્કમ નિર્ધાર કરવો જોઇએ કે ખુદા તઆલા એ બતાવેલા માર્ગે જ સાચું સુખ પ્રાપ્ત થઇ શકે છે. માટે અંદરો અંદરનો દ્વેષભાવ, વેરઝેર નાબુદકરી પયંગબરોએ આપેલા પ્રેમભાવનો રાહ અપનાવીએ તો જ સાચી કુરબાન ઇદ મનાવી લેખાશે.

વડાપ્રધાન ૧પ મુદ્દા અમલીકરણ સમિતિ, ગુજરાતના મેમ્બર અને મુસ્લિમ અગ્રણી ફારૂક બાવાણીએ હિન્દુ-મુસ્લિમ બિરાદરોને ઇદના તહેવાર નિમિતે મુબારક બાદી પાઠવતા જણાવ્યું હતું કે, ઇદનો પ્રસંગે સમગ્ર વિશ્વ ભાઇચારાના પાઠવી સાથોસાથ સહિષ્ણુતા, શાંતિ સલામતી, ત્યાગની ભાવના, સમર્પણ, રાષ્ટ્રીય કોમી એકતા, પરસ્પર પ્રેમભાવ જેવા ઉમદા ગુણો કેળવવા ઇદની ઉજવણીના ઉત્સવને આધારશીલા બનાવી સમાજ સુધારણાનું બેનમૂન ઉદાહરણ પુરૂ પાડયું છે.

(3:58 pm IST)