રાજકોટ
News of Saturday, 1st August 2020

માથાભારે તત્વોએ પ્રજ્ઞાચક્ષુ - વિધવા અમીનાબેનની જમીન પચાવી

સણોસરા પંથકમાં ૧૩ એકર જમીન અંગે પુરાવા સહિત રજૂઆતો કરી છતાં પગલાં ન લેવાતા પીડિત મહિલાએ ઇચ્છામૃત્યુની પરવાનગી માંગી : તંત્ર માટે શરમજનક ઘટના

રાજકોટ તા. ૧ : સણોસરાના પ્રજ્ઞાચક્ષુ - વિધવા મહિલાની ૧૩ એકર જમીન કૌભાંડીઓએ પચાવી પાડી છે. આ અંગે તંત્રને પુરાવા સહિત અનેક રજૂઆતો કરી છતાં તંત્રએ આ પ્રકરણમાં ન્યાયિક પગલા ન ભરતા પીડિતા ૭૦ વર્ષીય અમીનાબેને ઇચ્છા મૃત્યુની માંગણી કરી છે. સંવેદનશીલ સરકાર માટે આ ઘટના શરમજનક છે.

અમીનાબેને રાજકોટ કલેકટર તથા પોલીસ કમિશનરને કરેલી અરજી પ્રમાણે મને થયેલ અન્યાય સંબંધે મેં રૂબરૂ મુલાકાત માટે મોબાઇલ દ્વારા મેસેજ પોલીસ કમીશનરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશનર શ્રી અહેમદ ખુરશીદને મોકલાવેલ. પરંતુ આજદિન સુધી મુલાકાત આપેલ નથી. અરજીમાં આગળ જણાવ્યું છે કે, મેં ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવા અંગે એક લેખીત અરજી પોલીસ કમિશનરશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ગવર્નરશ્રી, મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી, ગૃહમંત્રીશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી, પોલીસ મહાનિર્દેશકશ્રી, રાષ્ટ્રીય મહિલા આયોગ, ગુજરાત રાજ્ય મહિલા આયોગ, માનવ અધિકાર આયોગ, વિરોધ પક્ષના નેતાશ્રી અને લઘુમતી સેલના અધ્યક્ષશ્રીને તા. ૨૩-૭-૨૦૨૦ના રોજ જાણ કરેલ. પરંતુ આ ગંભીર બાબતને હળવાશથી લેવામાં આવેલ હોય તે અરજીની વિગતોને વાંચવામાં આવેલ ન હોય તેવું જણાય છે.

અમીનાબેન આગળ કહે છે કે, તાજેતરમાં તા. ૨૯-૭-૨૦૨૦ના રોજ મુખ્યમંત્રીશ્રી રાજકોટ ખાતે આવેલા ત્યારે તેઓના મોબાઇલ નં. ૯૯૭૮૪ ૦૫૩૧૩ તથા ૯૮૨૪૮ ૧૧૧૮૬ ઉપર ઇચ્છા મૃત્યુ સંબંધે તથા રૂબરૂ મુલાકાત આપવા અંગે જાણ કરેલી. પરંતુ અંધ લઘુમતી કોમની વિધવા મહિલાને રૂબરૂ મુલાકાત આપવામાં આવેલ નહીં. ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી અનિલ મુકીમ સાહેબને તેના મોબાઇલ નંબર ઉપર આ ગંભીર હકીકત જણાવેલ જેઓ તરફથી પણ કોઇ જવાબ મળેલ નથી.

રાજકોટ શહેરના મહિલા કલેકટરશ્રી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મહિલા મેયરશ્રી છે. તે જ રીતે રાજકોટ શહેર મહાનગરપાલિકામાં મહિલા નગરસેવિકાઓ છે તેમજ રાજકોટ શહેરમાં મહિલાઓના રક્ષણ માટે ઘણી સંસ્થાઓ છે તેમજ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાશ્રી છે. તેઓ પોતાના પૂર્વ નગરસેવક રહિમ સોરા હોવાને કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા નિષ્ક્રિય ભૂમિકા ભજવેલ છે તેમજ રાજકોટ શહેરમાં કરણી સેના તથા 'આપ'ના કાર્યકરો દ્વારા લઘુમતી મહિલાને મદદરૂપ થયેલ નથી. લઘુમતી સમાજ દ્વારા અમોને મદદરૂપ થવા માટે કોઇ કાર્યવાહી કરેલ નથી, તેમ અરજીમાં જણાવ્યું છે.

અમીનાબેન કહે છે કે, લઘુમતીને મળતા લાભો, સીનીયર સીટીઝનને મળતા લાભો, માનવ અધિકાર દ્વારા સારી રીતે ગરિમાપૂર્ણ અધિકાર તેમજ વ્યકિતગત સ્વતંત્રતાના હક્કો તેમજ કાયદાનું રાજ્ય દ્વારા રક્ષણનો અધિકાર આ તમામ બાબતોથી મારા ઉપર તરાપ મારવામાં આવેલ હોય, મારા બંધારણીય અધિકાર ઝુંટવાઇ ગયેલ હોય અને આવી મારી બેહાલ પરિસ્થિતિમાં અંત કયારે આવે તે નક્કી ન હોય આ મારી છેલ્લી લેખીત રજૂઆતો વાંચવા મારી વિનંતી છે તેમજ મને જો કોઇ કાયદો મદદ કરી શકતો હોય તો કાયદાકીય રીતે મદદ કરવા વિનંતી છે તેમજ પારા-૧ માં મારી વાત સાચી હોય તો જવાબદાર પોલીસ અધિકારી સામે ગુન્હો દાખલ કરી ગુન્હેગારોને મદદરૂપ થવાની મનોવૃત્તિ ધરાવતા પોલીસ અધિકારીઓ તેમજ ગુન્હેગારોને કબજો અપાવવા માટે પોલીસને સત્તા ન હોવા છતાં જેઓએ ગુન્હેગારોને મદદગારી કરેલી છે, જેથી ખાતાકીય તપાસ તેમજ રાજયસેવકની ફરજ પ્રત્યેની ઉપેક્ષા, નિષ્ક્રિયતા, બેદરકારી સંબંધે તમામ અરજીઓ જે વિગતો જણાવેલ છે, તે સંબંધે ન્યાય અપાવવા રજૂઆત અમીનાબેને કરી છે.

(3:38 pm IST)