સોમવારે રક્ષાબંધન નિમિતે બહેનોને BRTS- સીટી બસમાં વિનામૂલ્યે મુસાફરી
મહિલાઓને ફ્રી બસ સેવાનો લાભ લેવા અને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા બિનાબેન આચાર્ય, ઉદય કાનગડ તથા ઉદિત અગ્રવાલની અપિલ
રાજકોટ,તા.૧: સોમવારેે રક્ષાબંધન પ્રસંગે બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં ચાલતી સિટી બસમાં બહેનોને ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવશે તવી જાહેરાત બિનાબેન આચાર્ય, ઉદયભાઈ કાનગડ તથા ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે.
આ અંગે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એક યાદીમાં જણાવ્યુ હતુ કે, તા.૩ને સોમવારનાં રોજ રક્ષાબંધનનાં તહેવાર નિમિતે આ બંને બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી બસ સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર તા.૦૩ સોમવારના રોજ દિવસ દરમ્યાન કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફકત બહેનો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
શહેરની બહેનો રક્ષાબંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ જણાવે છે તેમજ હાલમાં કોરોના મહામારી હોઈ માસ્ક પહેરવું તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. હાલમાં કોરોના મહામારીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં ૪૬ સિટી બસ તથા ૧૦ એ.સી. બસ દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.