રાજકોટ
News of Saturday, 1st August 2020

ગુજરાતના વિકાસપથને આગળ વધારવા સતત કાર્યરત મુખ્યમંત્રી પાયાની સુવિધાઓ માટે સતત સક્રિય

વિજયભાઈના જન્મદિનની શુભેચ્છા પાઠવતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટ તા. ૧ : રાજકોટ અને વિજયભાઇ રુપાણી એવી વાત આવે તો આપણને એમ જ લાગે તે એ બન્ને એકબીજા માટે બન્યા છે. રાજકોટના વિકાસમાં ભારતીય જનતાપાર્ટીના જે જે અગ્રણીઓનો ફાળો છે એમાં વિજયભાઇ રુપાણી અગ્ર હરોળમાં છે. રાજકોટના મેયર તરીકે અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે એમણે કરેલાં કામો અને લીધેલાં નિર્ણયોના સુફળ રાજકોટવાસીઓ આજે પણ ખાઇ રહ્યા છે. શહેર-ગ્રામીણ વિસ્તારો ની જળ સમસ્યા હોય કે યાત્રાધામો-પ્રવાસન સ્થળો માટેઙ્ગ આધુનિક સ્વચ્છતા પધ્ધતિ કે ગરીબોના આવાસ કે એવું કંઇ પણ હોય એમાં વિજયભાઇ રુપાણીનું વિઝન, એમની ધગશ સતત અનુભવાયાં છે અને એ જ કાર્યપધ્ધતિ, કાર્યપ્રણાલીનો લાભ મુખ્યમંત્રી દરરજે છેલ્લા ચાર વર્ષથી સમગ્ર ગુજરાતને મળી રહ્યો છે એવું ભાજપના અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

આવતીકાલે બીજી ઓગસ્ટે વિજયભાઇ રુપાણીનો જન્મદિવસ છે અને સાતમી ઓગસ્ટે એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યે ચાર વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. ત્યારે એમને શુભેચ્છા પાઠવતાં વિશેષ માં રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે આમ તો વિજયભાઇનો નાતો રાજકોટના કે સૌરાષ્ટ્રના સામાન્ય માણસો સાથે પણ નજીકનો છે. અને ભાજપના તો દરેક કાર્યકર્તા એમના માટે પરિવારજન સમાન છે. પરંતુ ખુશી સાથે હું કહી શકું કે એમના જાહેર જીવનનો હું નિકટના સાક્ષીઓ માંનો એક રહ્યો છું. અને એટલે મેં એમને પક્ષના સંગઠનમાં અને સત્ત્।ાક્ષેત્રે કામ કરતા જોયા છે. એ વ્યકિત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી શકે છે તો નિષ્ઠામાં તો નિચોવાઇ જાય છે.

રાજુભાઇ ધ્રુવે ઉમેર્યું કે વિદ્યાર્થી પરિષદના કાર્યકરથી લઇને, ધર્મેન્દ્રસિંહજી કોલેજના જીએસ કે પછી ભાજપના મહામંત્રી, મેયર સહિતના વિવિધતા ભર્યા હોદ્દા વિજયભાઇને મળ્યા પરંતુ એમની કાર્ય પધ્ધતિ તો એક જ રહી અને તે સૌને સાથે રાખીને ચાલવાની પધ્ધતિ. જ્ઞાતિવાદી રાજકારણના સમયમાં, કાવાદાવાના સમયમાં પણ વિજયભાઇએ કયારેય પોતાના એ સિધ્ધાંતોમાં બાંધછોડ નથી કરી. રાજુભાઇ જણાવે છે કે મેં એમનામાં જે સૌથી મોટો ગુણ જોયો છે તે એ કે એ કોઈના માટે શત્રુભાવ કયારેય નથી રાખતા. કોઇ મુદ્દે કોઇની સાથે ચર્ચા થાય. વાત થાય તો પણ એ વાત ત્યાં જ પુરી. અને રાજકીય રીતે સામસામે હોય એ વ્યકિત સાથે પણ અંગત વેર કોઇ દિલસ એમણે નથી રાખ્યું.

એનો તાજેતરનો દાખલો છે. અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના ગ્રસ્ત હોવા છતાં મુખ્યમંત્રીને મળ્યા હતા. જયારે એ કોરોનાગ્રસ્ત છે એવું જાહેર થયું ત્યારે વિજયભાઇએ એના ખબર અંતર પૂછ્યા એની સારવાર માટે પણ સૂચના આપી. કોરોના સંક્રમણમાં એમણે ફકત આવા જાણીતા લોકોની જ ખબર પૂછી એવું નથી. સાવ સામાન્ય લોકો સાથે સંવાદ કર્યો અને એમની સ્થિતિ જાણી. પહેલો કેસ નોંધાયો ત્યારથી એટલેકે ૧૯મી માર્ચથી વિજયભાઇ રુપાણી સતત તમામ કલેકટર, આરોગ્ય અધિકારીઓના સીધા સંપર્કમા રહ્યા. શહેરી અને ગ્રામ્ય વિસ્તાર બધે જ તમામ સુવિધા પૂરતી અને સમયસર મળે એ માટે એમણે ફકત ચિંતા નથી કરી, સતત પ્રયાસ કર્યા છે.

લોકડાઉન દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગને અનાજ,દૂધ,દવાનો પુરવઠો મળી રહે એ માટે એ સતત તંત્રની સાથે દોડ્યા અને જાગ્યા છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવામાં ગુજરાતનું કામ નોંધપાત્ર છે. ૧૧૦૦ ધન્વંતરી રથ અહીં દોડે છે. વિજયભાઇ રૂપાણી પોતે કોરોના વોરિયર બનીને લડ્યા છે. રાજુભાઇએ ઉમેર્યુંઙ્ગ કે કોરોનાની સ્થિતિ ન આવી હોત તો પણ વિજયભાઇની કર્મઠતા અને કાર્યદક્ષતાનો પરિચય તો લોકોને સતત મળતો રહ્યો છે. બનાસકાંઠાના પૂર સમયે તેઓ પાચ દિવસ પૂરગ્રસ્તો વચ્ચે વિતાવે. તો ખેડુતો માટે પણ સતત ચિંતિત રહેતા હોય છે.

વિજયભાઇને આ જન્મ દિવસે એમના દીર્ઘ અને નિરોગી આયુષ્ય માટે આપણે શુભેચ્છા પાઠવીએ અને એમના નેતૃત્વમાં ગુજરાત સર્વાંગી વિકાસની સીડી ચડીને શિખરે પહોંચે એવી રાજુભાઇએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

(1:05 pm IST)