લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર
રાજકોટમાં છેલ્લા ત્રણ મહીનામાં જુનના છેલ્લા સપ્તાહમાં અ..ધ..ધ..૩૦ કોરોના કેસ
મે મહીનામાં અનલોક-૧ ની છૂટ મળતા જ શહેરનાં રેડઝોન જંગલેશ્વરમાંથી કોરોનાં સંક્રમણ છૂટા-છવાયા વિસ્તારોમાં ફેલાયુઃ જુનનાં પ્રારંભે બહારગામથી આવનારાનાં કેસ વધુ હતાં: હવે શહેરમાં લોકલ ટ્રાન્સમીશન શરૂ થતાં રોજનાં પાંચ કેસ મળવા લાગ્યાઃ આજથી વધુ છૂટ-છાટ મળવા લાગી છે ત્યારે માસ્ક-સોશ્યલ ડીસ્ટસ-હેન્ડ વોશ અત્યંત જરૂરી
રાજકોટ તા. ૧ :.. શહેરમાં કોરોનાં સંક્રમણ વધવા લાગ્યુ છે. અને તેમાંય આજથી અનલોક-૧ હેઠળ સરકારે વેપાર-ધંધા વગેરેમાં વધુ છૂટછાટ આપી છે. ત્યારે હવે દરેક નાગરીકની વ્યકિતગત નૈતિક જવાબદારી બની છે કે, કોરોનાં સંક્રમણ અટકાવવા માટે માસ્ક, હેન્ડ વોશ અને સોશ્યલ ડીસ્ટન્શના નિયમોનું ચુસ્ત પણે પાલન કરે.
રાજકોટ શહેરની કોરોનાં સંક્રમણની સ્થીતિ રાજયનાં અન્ય શહેરો કરતાં સારી કહી શકાય પરંતુ હવે વધુ છૂટછાટ મળી છે ત્યારે સંક્રમણની સ્થીતિ વકરે નહી તે માટે પ્રત્યેક નાગરીકે સ્વૈચ્છીક સાવચેતી રાખવી જોઇએ.
શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ ૧૮ માર્ચે રાજકોટનાં જંગલેશ્વરમાં મળી આવેલ જે ગુજરાત રાજયનો પ્રથમ કેસ હતો. ત્યારબાદ એક પછી એક જંગલેશ્વર તથા આસપાસનાં વિસ્તારોમાં કોરોનાં સંક્રમણ વધ્યું. આથી મ.ન.પા.એ આ સમગ્ર વિસ્તારને 'સીલ' કરી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો અને આ વિસ્તારમાં ર૪ કલાક કર્ફયુ લગાવી દીધો પરિણામે ૧૮ માર્ચથી ૩૦ મે સુધીમાં શહેરમાં કુલ ૮૩ કેસ નોંધાયેલ.
ત્યારબાદ સરકારે લોકડાઉન ખોલ્યુ. અનલોક-૧ નો અમલ શરૂ થતાં બજારો ખુલી અન્ય-જીલ્લાઓ-રાજયમાંથી આવન- જાવન શરૂ થઇ ગઇ. એસ. ટી.-બસ, ખાનગી ટ્રાવેલ્સ પણ શરૂ થઇ ગઇ. જંગલેશ્વરનો કન્ટેન્ટમેન્ટ ઝોન ખોલી નંખાયો અને જુન મહીનાથી શહેરનાં વિવિધ વિસ્તારોમાં કોરોનાં કેસ મળવા લાગ્યા.
જો કે ત્યારે હજુ લોક ટ્રાન્સમીશન શરૂ થયુ ન હતું માત્ર અમદાવાદ, સુરત, મુંબઇ જેવા રેડ ઝોનમાંથી આવનારા લોકો જ પોઝીટીવ આવતાં હતાં.
પરંતુ જુનનાં છેલ્લા પખવાડીયામાં લોકલ ટ્રાન્સમીશનનાં કેસ મળવા લાગ્યા જે કાલાવડ રોડ, કોઠારીયા, નહેરૂનગર, સુભાષનગર, સાધુ વાસવાણી રોડ, અમીન માર્ગ જેવા વિસ્તારોમાં મળ્યા. અને જૂનનાં છેલ્લા અઠવાડીયામાં તો રોજના પ કોરોનાં પોઝીટીવ મળતાં ૩૦ જેટલાં દર્દીઓ નોંધાયા. જે કોરોનાંનો પ્રથમ કેસ મળ્યો ત્યારથી અત્યાર સુધીનાં ત્રણ મહીનામાં સૌથી વધુ કેસ છે.
જુનમાં કેસ ડબલ થઇ ગયા
નોંધનીય છે કે માર્ચ-એપ્રીલમાં શહેરમાં કુલ ૮૩ પોઝીટીવ કેસ હતાં. અને જૂનમાં કુલ ૮૭ કેસ મળ્યા આમ અગાઉનાં બે મહીનામાં જે નોંધાયા તેની સરખામણીએ જુનમાં ડબલ કેસ થયા છે. જે હવે લાલબતી સમાન છે.