વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ પુનઃ શરૂ કરોઃ આવેદન
રાજકોટઃ શહેરના બેરોજગાર યુવાનોએ સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલ ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગણી સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવેલ કે, અમુક ભરતી આ પ્રકારે છે જેમાં સરકારી પરીક્ષાઓનું નોટીફિકેશન બહુ લાંબા સમયથી આવી ચૂકેલ છે. (લગભગ ર વર્ષ) ભરતી જાહેર પણ થઇ ચૂકી છે અને સરકારી ઢીલાશને કારણે પરીક્ષા લેવાની બાકી છે. અને કોઇ નિશ્ચિત તારીખ આપવામાં આવતી નથી અને આવી તો ગુજરાતમાં અંદાજીત ૪૦૦૦૦ જેટલીા જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ અલગ તબકકે અટકાવી દીધેલ છે અને જેના કારણે ગુજરાતનું૦ અંદાજે ૧પ તથી ૧૭ લાખ જેટલું યુવાધન આજે બેરોજગારીના ઓછાયા હેઠળ જીવી રહ્યું છે. શિક્ષિત બેરોજગાર યુવાનનાં ભાવિ અત્યારે અધ્ધરતાલ થઇ ગયું છે અને છેલ્લા ર-૩ વર્ષથી બેરોજગાર બેઠા છે. અમારી સરકાર સમક્ષ માંગણીઓ છે જેમાં જે ભરતીમાં માત્ર નિમણુંક આપવાની બાકી છે તે આપી દેવામાં આવે (શરતી નિમણુંક પણ અમને માન્ય છે), જે ભરતીની પ્રાથમિક/મુખ્ય પરીક્ષા કે કોમ્પ્યુટર ટેસ્ટ કે ઇન્ટરવ્યુ થઇ ગયાં છે તેના પરિણામ જાહેર કરવામાં આવે. જે ભરતીની જાહેરાત થઇ ગઇ છે પરંતુ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે. તેમજ માંગણીઓ નહિ સ્વીકારાય તો ગાંધીનગર ખાતે આંદોલનો કરાશે તેમ પણ આવેદનમાં ઉમેરાયું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)